April 27, 2024

ગાંધીજીનો ઉલ્લેખ કરી યુક્રેને ભારત પાસે માગી મદદ, શું રશિયાને મનાવશે PM મોદી?

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષથી વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને પરમાણુ યુદ્ધનો ખતરો પણ શરૂ થઈ ગયો છે. જ્યારે રશિયન સેના સતત મિસાઈલ અને ગ્રાઉન્ડ એટેક કરી રહી છે ત્યારે યુક્રેન હથિયારોની અછતનો સામનો કરી રહ્યું છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં વધુ વ્યસ્ત છે જેના કારણે યુક્રેન હથિયારોની અછતનો સામનો કરી રહ્યું છે. આના કારણે યુક્રેનના હુમલાની ધાર નબળી પડી રહી છે અને રશિયન સેનાનો દબદબો વધી રહ્યો છે. આ મહા સંકટ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ હોળીને લઈને પોતાના સંદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને ભારતને અપીલ કરી છે. આટલું જ નહીં, ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર યુક્રેનના વિદેશ મંત્રી આ અઠવાડિયે ભારત આવી રહ્યા છે.

કુલેબાની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતીય વડાપ્રધાને તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. કુલેબાએ રવિવારે X પર પોસ્ટ કરેલા તેમના એક વીડિયોમાં કહ્યું કે આજે આપણે હોળીની ઉજવણી કરી રહ્યા છીએ જે સૌથી સુંદર અને રંગીન તહેવાર છે. હું દરેકને હોળીની શુભેચ્છા પાઠવું છું. હું અહીં કિવમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ઊભો છું અને જાહેરાત કરું છું કે આ અઠવાડિયે હું પ્રથમ વખત ભારતની મુલાકાત લઈ રહ્યો છું.

આ પણ વાંચો: ભીખાજીની ટિકિટ કાપતા અરવલ્લી ભાજપમાંથી 2000થી વધુ કાર્યકરોનાં રાજીનામા

યુક્રેન ભારત પાસેથી શું ઈચ્છે છે?
યુક્રેનના વિદેશ મંત્રીએ પોતાના વીડિયો સંદેશમાં પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તેમણે મહાત્મા ગાંધીના સ્વતંત્રતાના વિચારોને યુક્રેનના વર્તમાન સંઘર્ષ સાથે જોડ્યા. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન અને ભારત બે મોટા લોકશાહી દેશ છે અને મને વિશ્વાસ છે કે અમે સારા ભાગીદાર અને મિત્રો બની શકીએ છીએ. તેમણે રશિયા સામે ચાલી રહેલા સંઘર્ષમાં ગાંધીજીના વિચારોને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા અને ભારત પાસે મદદ માંગી.

કુલેબાએ કહ્યું કે આજે યુક્રેનને સમર્થન આપવું એ એક રીતે મહાત્મા ગાંધીની પરંપરાને સમર્થન છે. આ પહેલા પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ અને વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. આટલું જ નહીં, પીએમ મોદીએ પુતિન સાથેની વાતચીતમાં યુદ્ધને બદલે વાતચીત અને કૂટનીતિનું સમર્થન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનના વિદેશ મંત્રી ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે વિસ્તૃત વાતચીત માટે ભારત આવી રહ્યા છે. કુલેબા ઈચ્છે છે કે ભારત સ્વિત્ઝરલેન્ડમાં આયોજિત શાંતિ સમિટને સમર્થન આપે. જો કે ભારતે હજુ સુધી આ અંગે પોતાની સંમતિ દર્શાવી નથી. રશિયા આ સમિટનો વિરોધ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે વિશ્વની નજર ભારતના વલણ પર રહેશે.