May 7, 2024

ક્ષત્રિય સમાજે માફીનો પ્રતિસાદ આપ્યો, સમગ્ર સમાજને ધન્યવાદ: પરશોત્તમ રૂપાલા

ન્યૂઝ કેપિટલ એક્સક્લૂઝિવ: રાજકોટના જસદણ ખાતે પરશોત્તમ રૂપાલાનું ક્ષત્રિય આંદોલનને લઈ મોટું નિવેદન આપ્યું છે. પરશોત્તમ રૂપાલાએ વધુ એક વાર સમગ્ર ક્ષત્રિય સમાજની માંગી માફી છે. પરશોત્તમ રૂપાલાએ સભાના માધ્યમથી ક્ષત્રિય સમાજના આગેવાનોને અપીલ કરી હતી. સભામાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરુ છું અને તેમને ધન્યવાદ આપું છું. મારે ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિંનંતી કરવી છે. કે ભૂલ કરી તે મેં કરી છે તેની મેં જાહેરમાં માફી માગી છે, કારણ કે મારો કોઈ ઈરાદો ન હતો અને સમાજની સામે પણ મેં માફી માંગી છે અને સમાજે માફીનો પ્રતિસાદ પણ આપ્યો છે, પણ મોદી સાહેબની સામે નારાજગી કેમ? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્ર અને પાર્ટીના ઘડતરમાં તમારું સૌથી મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસમાં તમારું કેટલું મોટું યોગદાન છે.

વધુમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, જે વ્યક્તિ 18 કલાક દેશની સેવા કરે છે તેવા PM નરેન્દ્ર મોદી સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવો યોગ્ય નથી. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું. આપ સૌ મોદી સાહેબની સામેના આક્રોશને આપ પુન: વિચાર કરો. સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુ બંધ બાંધવાનો આપણે પ્રયાસ કરીએ. વધુમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, મિત્રો હું ચૂંટણી માટે નથી કહેતો, ચૂંટણીની હાર-જીત માટેના વિષયની આ વાત નથી. સમાજના વિષયને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિષ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે વિનંતી કરુ છું. 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પુરુ થઇ જાય તેવી રીતે સૌ કાર્યકર્તા કામે લાગે એવી વિનંતી કરું છું.