April 27, 2024

આજથી AAPનું ‘કેજરીવાલને આર્શિવાદ’ અભિયાન શરૂ, વોટ્સએપ નંબર જાહેર

અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એક વખત મીડિયા સામે આવી હતી. જેમાં તેમણે કેજરીવાલની ધરપકડ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. પ્રેસ કોન્ફરન્સ સમયે સુનીતા કેજરીવાલે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જે અંગે સુનીતાએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ માટે ઘણા લોકો સંદેશ મોકલી રહ્યા છે. ત્યારે આ નવો વોટ્સએપ નંબર જાહેર કરી ‘કેજરીવાલને આર્શિવાદ’ નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો હું તમામ લોકોને વિનંતી કરૂ છું કે આપ સૌ આ નંબર પર મેસેજ મોકલો.’

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સુનીતા કેજરીવાલે કહ્યું કે, ‘હું સુનીતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલની ધર્મપત્ની છું. કાલે અરવિંદ કેજરીવાલને જે કોર્ટમાં કહ્યું અને તમે બધાએ સાંભળ્યું હશું, જો નથી સાંભળ્યું તો એક વખત જરૂર સાંભળજો. તેઓ કોર્ટમાં જે પણ બોલ્યા એ બોલવા માટે બહું હિમ્મત જોઈએ. એ સાચા દેશ ભક્ત છે. એકદમ એવી જ રીતે અંગ્રેજોની સામે આપણા સ્વાતંત્ર્ય સેનાઓ લડ્યા હતા. હું છેલ્લા ત્રીસ વર્ષથી તેમની સાથે છું.’

AAPનું નવું અભિયાન
તેમણે વધુમાં કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે દેશની સૌથી ભ્રષ્ટ અને તાનાશાહી શક્તિઓને પડકારી છે. તમે અરવિંદ કેજરીવાલને તમારો ભાઈ અને તમારો પુત્ર કહ્યો છે, શું તમે આ લડાઈમાં તમારા ભાઈ અને તમારા પુત્રને સાથ નહીં આપો? મને પૂરો વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને આ લડાઈ લડીશું.’

આ પણ વાંચો: કેજરીવાલને દિલ્હી HCમાંથી ન મળી રાહત, HCએ EDને પણ પાઠવી નોટિસ

AAP એ વોટ્સએપ નંબર જાહેર કર્યો
કેજરીવાલની પત્ની સુનીતાએ કહ્યું કે, ‘હું તમને એક વોટ્સએપ નંબર 8297324624 આપું છે. આજથી અમે ‘કેજરીવાલને આશિર્વાદ’ નામનું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તમે આ નંબર પર કેજરીવાલને તમારા આશિર્વાદ અને પ્રાર્થના મોકલી શકો છો. બીજા કોઈને સંદેશ આપવો હોય તો તે પણ આપી શકે છે. ઘણી માતાઓએ તેમના પુત્ર માટે ઇચ્છા કરી છે. ઘણી બહેનોએ પણ પોતાના ભાઈ માટે ઈચ્છા વ્યક્ત કરી છે. તમે તેને લેખિતમાં પણ મોકલી શકો છો.’

કેજરીવાલ માટે લોકો ઉપવાસ કરી રહ્યા છેઃ સુનીતા કેજરીવાલ
મને ઘણા લોકોના ફોન પણ આવ્યા કે તેમએ અરવિંદ માટે ઉપવાસ રાખ્યા છે, લોકો અરવિંદજીને કેટલો પ્રેમ કરે છે. તે બધું લખીને મોકલો. જો તમારે બીજું કંઈ કહેવું હોય અથવા તમારા મનમાં કંઈ આવે તો આ નંબર પર મોકલો. દરેક પરિવારના દરેક સભ્યએ લખીને મોકલવું જોઈએ. તમારો સંદેશ વાંચીને તેઓને ખૂબ આનંદ થશે. તમારો દરેક સંદેશ તેમના સુધી પહોંચશે.

તેમણે આગળ કહ્યું કે, હું તમને જેલમાં તમામ સંદેશાઓ આપીશ અને તેમને સંદેશ આપવા માટે તમારે આમ આદમી પાર્ટીમાંથી આવવાની જરૂર નથી. તમે ગમે તે પક્ષના હોવ અથવા તમે કોઈપણ હો, કૃપા કરીને અરવિંદજીને સંદેશ મોકલો. તમામ યુવતીઓ, બાળકો, વૃદ્ધો, અમીર-ગરીબ દરેકે પોતાના ભાઈ અને પુત્ર અરવિંદ જીને કંઈક લખવું જોઈએ. આ સાથે આ નંબરનો પણ પ્રચાર કરો.