April 27, 2024

રાજસ્થાનમાં રામ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, અનેક લોકો ઘાયલ

Lok Sabha Election 2024: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન સમાપ્ત થઈ ગયું છે. નોમિનેશન સમાપ્ત થયા બાદ અચાનક રાજસ્થાનમાં વાતાવરણ તંગ બની ગયું છે. રાજ્યના કોટા જિલ્લામાં રામ શોભાયાત્રા દરમિયાન એક પક્ષના લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલમાં તણાવપૂર્ણ શાંતિનો માહોલ છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાએ PM મોદી પર કરી ટિપ્પણી, ભાજપ ચૂંટણી પંચને કરશે ફરિયાદ

મળતી માહિતી મુજબ, કોટા જિલ્લાના કૈથૂનમાં રામ બારાતનું સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું.ભક્તો ડીજે વગાડતા નાચતા-ગાતા હતા. આ દરમિયાન એક સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. માહિતી અનુસાર, બદમાશોએ ડીજે ડ્રાઈવરને પણ માર માર્યો હતો, સાથે સાથે લેપટોપ અને માઈક તોડીને લૂંટ ચલાવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, રામ બારાતમાં ભાગ લઈ રહેલી મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો અને નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસને ઈન્કમટેક્સની નોટિસ, 1700 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોટા જિલ્લાના એસપી કરણ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્પેશિયલ પોલીસ ફોર્સ પણ તાત્કાલિક રવાના કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ પોલીસ બંને પક્ષના લોકો સાથે વાત કરી રહી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.