April 28, 2024

પત્નીને કહ્યું ‘સેકન્ડ હેન્ડ’ તો હાઈકોર્ટે લગાવી ફટકાર, આપવા પડશે 3 કરોડ

દિલ્હી: પત્ની પર હુમલો કરવાના આરોપીને હવે કરોડો રૂપિયાનું વળતર અને 1 લાખ રૂપિયાથી વધુ ભરણપોષણ ભથ્થા તરીકે ચૂકવવા પડશે. બોમ્બે હાઈકોર્ટે ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં આરોપીઓને રાહત આપી ન હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. કોર્ટનું કહેવું છે કે આ રકમ માત્ર શારીરિક ઈજાઓ માટે જ નહીં પરંતુ માનસિક ત્રાસ અને ભાવનાત્મક સમસ્યાઓ માટે આપવામાં આવી છે.

મામલો શું હતો?
મળતી માહીતિ અનુસાર આ કપલે જાન્યુઆરી 1994માં લગ્ન કર્યા અને અમેરિકામાં સ્થાયી થયા. અહેવાલ છે કે બંનેએ ત્યાં લગ્ન સમારોહનું પણ આયોજન કર્યું હતું. 2005 માં, દંપતી ભારત પરત ફર્યું અને બંનેની માલિકીના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. 2008માં મહિલા તેની માતાના ઘરે રહેવા લાગી હતી અને 2014માં તે પુરુષ અમેરિકા પરત ફર્યો હતો.

જુલાઈ 2017માં મહિલાએ ડીવીએની જોગવાઈઓ હેઠળ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે જૂની સગાઈ તૂટવાને કારણે તેના પતિએ હનીમૂન દરમિયાન તેને સેકન્ડ હેન્ડ બોલાવી હતી. મહિલાનો આરોપ છે કે અમેરિકામાં પણ તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવી હતી અને તેના પર અન્ય પુરૂષો સાથે ગેરકાયદેસર સંબંધોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી તે આરોપો ન સ્વીકારે ત્યાં સુધી તેની સાથે મારપીટ કરવામાં આવી.

ટ્રાયલ કોર્ટે જાન્યુઆરી 2023માં આદેશ જારી કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે મહિલા તેના પતિના હાથે ઘરેલુ હિંસાનો ભોગ બની હતી. આ ઉપરાંત પતિને 3 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કોર્ટે પતિને દાદર વિસ્તારમાં પત્ની માટે ઓછામાં ઓછું 1 હજાર સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું ઘર મેળવવા અથવા ઘરના ભાડા પેટે 75 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે પતિને મહિલાના તમામ દાગીના પરત કરવા અને દર મહિને 1 લાખ 50 હજાર રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટના આદેશ બાદ પતિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

HC માં શું થયું?
હાઈકોર્ટને જાણવા મળ્યું કે મેજિસ્ટ્રેટે તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને વળતર માટેના આદેશો જારી કર્યા હતા. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ ચર્ચાના આધારે આ નિષ્કર્ષ પર પહોંચી છે કે વર્ષ 1994 થી 2017 સુધી સતત ઘરેલુ હિંસાની ઘટનાઓ બની છે. જેને ખોટું ન કહી શકાય. જસ્ટિસ શર્મિલા દેશમુખે કહ્યું કે આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી.