May 5, 2024

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સાથે ‘સંદેશખાલી’માં મહિલાઓનો વિરોધ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેને પગલે મહિલાઓ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે વિરોધ માર્ચ કરી રહી છે અને સુત્રોચાર કરીને આગળ વધી રહી છે. મહિલાઓનું કહેવું છે કે તેમને હવે મમતા બેનર્જી સરકાર પર કોઈ વિશ્વાસ નથી. પશ્ચિમ બંગાળમાં ‘સંદેશખાલી’ (Sandeshkhali) મુદ્દે રાજકીય જંગી ચાલી રહ્યો છે. બંગાળનું આખું રાજકારણ હવે મહિલાઓના આરોપોની આસપાસ ઘૂમી રહ્યું છે. માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 7 માર્ચે સંદેશખાલી જઈને પીડિતોને મળે તેવી સંભાવના છે. સંદેશખાલીની મહિલાઓએ શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. બીજી બાજુ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીનું પણ કહેવું છે કે વડાપ્રધાન મોદી બંગાળ જઈને સંદેશખાલી પીડિતોને મળી શકે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ પણ મમતા બેનર્જી સરકારના વિરોધમાં
બંગાળના સંદેશખાલીમાં ટીએમસીના નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓ પર મહિલાઓને હેરાન કરવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માનું કહેવું છે કે આયોગને સંદેશખાલીમાંથી બળાત્કારના બે કેસની માહિતી મળી છે. અમારી ટીમને બળાત્કારના આરોપો ઉપરાંત ગામલોકોની બીજી અન્ય ઘણી ફરિયાદો પણ મળી છે. આ ગામની મહિલાઓ ડરી ગઈ છે. રેખા શર્માએ કહ્યું કે આયોગ રાષ્ટ્રપતિ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે અને અમે રાષ્ટ્રપતિ શાસનની માંગ કરીશું.

શું છે ‘સંદેશખાલી’ કેસ?
નોંધનીય છે કે મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ અને તેના સહયોગીઓના અત્યાચાર સામે મોરચો ખોલી રહી છે. સંદેશખાલીની પીડિત મહિલાઓએ પોતે પોતાની પર થયેલા અત્યાચાર વર્ણવી હતી. મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર અત્યાચાર, જાતીય સતામણી અને જમીન પચાવી પાડવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

આરોપ લગાવનાર એક મહિલાએ જણાવ્યું કે ટીએમસીના લોકો ગામમાં ઘરે ઘરે જઈને તપાસ કરે છે અને જો કોઈ સુંદર મહિલા કે છોકરી ઘરમાં હોય તો ટીએમસી નેતા શાહજહાં શેખના લોકો તેનું અપહરણ કરી લેતા હતા અને ત્યારબાદ તેઓ તેને આખી રાત પાર્ટી ઓફિસમાં કે અન્ય કોઇ જગ્યાઓ પોતાની સાથે રાખતા અને બીજી દિવસે તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને તેના ઘર અથવા ઘરની સામે છોડી દેતા હતા. આ પછી મામલો સામે આવતાં જ રાજ્યપાલે તરત જ આ મામલાની નોંધ લીધી અને પોતે સંદેશખાલી પહોંચ્યા અને બાદમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સંદેશખાલીમાં જે થયું તે ચોંકાવનારું છે.