May 7, 2024

પૂર્વ મંત્રી અને BJP ધારાસભ્ય રમેશ જરકીહોલી વિરુદ્ધ FIR, 439.07 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ

વિશ્વેશ્વરપુરમ પોલીસ મથકમાં ભૂતપૂર્વ મંત્રી અને ગોકાકના ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય રમેશ જરકીહોલી વિરુદ્ધ લોન ડિફોલ્ટના આરોપમાં FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કર્ણાટક સ્ટેટ કો-ઓપરેટિવ એપેક્સ બેંકના મેનેજર રાજન્નાએ શુક્રવારે નોંધાવેલી ફરિયાદમાં જરકીહોલી પર છેતરપિંડીના ઈરાદાથી બેંકમાંથી લીધેલી લોનની ચુકવણી ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, એફઆઈઆરમાં સૌભાગ્ય સુગર્સ લિમિટેડના ચેરમેન રમેશ જરકીહોલી, ડિરેક્ટર વસંત વી પાટીલ અને મેનેજિંગ ડિરેક્ટર શંકર એ. પાવડે સંબંધિત નાણાકીય વ્યવહારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ ત્રણેયએ બેલાગવી જિલ્લાના ગોકાક ફોલ્સ રોડ પર સ્થિત આ ફેક્ટરીની સ્થાપના, વિસ્તરણ અને જાળવણી માટે કર્ણાટક સ્ટેટ કોઓપરેટિવ એપેક્સ બેંકની હેડ ઓફિસમાંથી લોન લીધી હતી.

આ પણ વાંચો : યુપી સહિત ઉત્તર ભારતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી !
ધારાસભ્યની કંપની પર કેટલી લોન બાકી છે ?

ફરિયાદ મુજબ, કંપનીએ 7 ડિસેમ્બર, 2013 અને 31 માર્ચ, 2017 વચ્ચે બેંક દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરીને 232.88 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કંપની પાસે હાલ રૂ. 439.07 કરોડની લોનની રકમ બાકી છે, જે ધારાસભ્યએ ચૂકવી નથી.

પોલીસ CIDને તપાસ સોંપવાની તૈયારી કરી રહી છે

આ વિષે વધુ વાત કરતાં વિશ્વેશ્વરપુરમ પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર કહે છે કે, ફરિયાદ બાદ, રમેશ જરકીહોલી, વસંત વી. પાટીલ અને શંકર પાવડે વિરુદ્ધ IPC કલમ 420, 406, 34 હેઠળ FIR નોંધવામાં આવી હતી. જેની કિંમત કરોડો રૂપિયા છે અને સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ પોલીસ વિભાગ આ કેસ CID તપાસ માટે સોંપશે.

આ પણ વાંચો : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાંચ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી, આ નેતાઓને કમાન સોંપાઈ
લોન મળતાં જ તમામ મોટા હોદ્દા છોડી દેવાનો આરોપ

બેંક દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં કહેવાયું હતું કે લોન લેતી વખતે જરકીહોલી સૌભાગ્ય લક્ષ્મી સુગર્સ લિમિટેડમાં મુખ્ય હોદ્દા પર હતા, પરંતુ લોન મળતાની સાથે જ તેઓ આ હોદ્દા પરથી હટી ગયા હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે, કર્ણાટક સ્ટેટ કોઓપરેટિવ એપેક્સ બેંક દ્વારા નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન કરીને જરકીહોલીએ કંપનીના સંચાલન માટે ખોટા વ્યક્તિઓની નિમણૂક કરી હતી.

બેંકને જાણ કર્યા વગર મેનેજિંગ ડાયરેક્ટર બદલાયા

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેંકની શરતો મુજબ, લોનની ચુકવણી ન થાય ત્યાં સુધી બેંકની પરવાનગી વિના કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બદલવા જોઈએ નહીં, પરંતુ આરોપીએ આ શરતનું ઉલ્લંઘન કર્યું છે. પણ પોલીસનું કહેવું છે કે બેંકના આરોપોના આધારે રમેશ જરકીહોલી, વસંત વી પાટીલ અને શંકર પાવડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.