May 19, 2024

PM મોદી પર અપમાનજનક નિવેદન બાદ ભારત એક્શનમાં, માલદીવના હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે બોલાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના અપમાનજનક નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહેબને બોલાવ્યા હતા. જે બાદ ઈબ્રાહિમ શાહિબ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સધર્ન બ્લોક પહોંચ્યા. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ચર્ચા થઈ હતી. વિવાદને લઈને અગાઉ રવિવારે માલદીવ સરકારે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મંત્રીઓએ પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને તેમના પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ટિપ્પણીઓને લઈને માલદીવ સરકાર સમક્ષ વાંધો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : પૂર્વ મંત્રી અને BJP ધારાસભ્ય રમેશ જરકીહોલી વિરુદ્ધ FIR, 439.07 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ

વાસ્તવમાં પીએમ મોદીએ હાલમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી હતી અને ભારતીયોને અપીલ કરી હતી કે તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશને તેમના પ્રવાસન સ્થળની યાદીમાં સામેલ કરે. આ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ માલદીવ માટે મોટો આંચકો હશે. સોશિયલ મીડિયા પર ભારતીયોના આ દાવાથી નારાજ માલદીવના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીની મુલાકાતની મજાક ઉડાવી હતી અને તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ પછી #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જે બાદ ઘણી મોટી હસ્તીઓ અને યુઝર્સે દાવો કર્યો હતો કે તેઓએ માલદીવની તેમની ટ્રીપ કેન્સલ કરી દીધી છે.

માલદીવ સરકારે શું કહ્યું ?

લક્ષદ્વીપ મુલાકાત અંગે પીએમ મોદીની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા, માલદીવ સરકારે રવિવારે તેના ત્રણ મંત્રીઓ માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદને સસ્પેન્ડ કર્યા હતા. વધુમાં, સરકારે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. માલદીવ સરકારે મંત્રીઓના નિવેદનોને અંગત ગણાવ્યા હતા.

આ પણ વાંચો : યુપી સહિત ઉત્તર ભારતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી !

ભારત અને પીએમ મોદી વિરૂદ્ધ નિવેદન આપ્યા બાદ આ નેતાઓ પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. માલદીવના અન્ય નેતાઓએ તેમની ટીકા કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે માલદીવ સરકારના અધિકારીઓના ભારત વિરુદ્ધ નિવેદનોની નિંદા કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું, હું સોશિયલ મીડિયા પર માલદીવ સરકારના અધિકારીઓ દ્વારા ભારત વિરુદ્ધ નફરતભરી ભાષાના ઉપયોગની નિંદા કરું છું. ભારત અને માલદીવ હંમેશા સારા મિત્રો રહ્યા છે અને આપણે આવી અપમાનજનક ટિપ્પણીઓને આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.