May 6, 2024

‘કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રહેશે’ : આતિશી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની તેમના ઘરની તપાસ બાદ મોડી સાંજે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ AAP નેતા આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રહેશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થયાની થોડી મિનિટો બાદ, આમ આદમી પાર્ટીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે અને જેલમાંથી તેમની ફરજો નિભાવવાનું ચાલુ રાખશે.

હાલમાં, દિલ્હી સરકારમાં કેજરીવાલ પછી બીજા ક્રમે AAP નેતા આતિશીએ કહ્યું, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રહેશે. દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ ટ્વીટ કર્યું, “અમે ED દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. અમે આજે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પાસેથી તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.”

ધરપકડને “રાજકીય કાવતરું” ગણાવતા આતિશીએ કહ્યું કે બે વર્ષમાં તેઓ એક રૂપિયો પણ વસૂલ કરી શક્યા નથી. તેમ છતાં આ કેસમાં 500 થી વધુ અધિકારીઓ સામેલ હતા. દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે નવમી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર હાજર થયા ન હતા. આ પછી ED અને દિલ્હી પોલીસની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. રાત્રે નવ વાગ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ED દ્વારા ધરપકડ ટાળવા માટે અરવિંદ કેજરીવાલની અરજી ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. કેજરીવાલે મોડી સાંજે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે આ મામલે સુનાવણી કરશે. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ માંગ્યું છે. તેની અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેએ કહ્યું, મારી વાત ન માની એટલે….

દિલ્હી હાઈકોર્ટે આજે એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલાને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે.

કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, “હાલમાં, ભારે પોલીસ સુરક્ષા હેઠળ, દિલ્હીના મુખ્યમંત્રીના ઘરને ઘેરી લેવામાં આવ્યું છે અને તેને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, જાણે કે તે કોઈ ડાકુ હોય… જનતા દ્વારા ચૂંટાયેલા મુખ્યમંત્રીને તેનો સામનો કરવો પડે છે. આજે આવી સ્થિતિ ભારતમાં આવું વર્તન લોકશાહીની હત્યા છે…”