May 5, 2024

સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીતે તેવી શક્યતા, જાણો કેવી રીતે

surat lok sabha constituency bjp mukesh dalal unopposed win

સુરતઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે ગઈકાલે સુરતની લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે અન્ય 8 ઉમેદવારો પણ બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી લે તેવી શક્યતા છે. જેને લઈને હવે ભાજપ સુરત બેઠક પરથી બિનહરીફ જીતે તેવી શક્યતા છે.

સુરત લોકસભા બેઠક પર વિવાદનું કોકડું ગૂંચવાયું છે. લોકસભા બેઠક પર ગઈકાલે ટેકેદારો હાજર ન રહેતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરી નાંખવામાં આવ્યું હતું. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેને લઈને અન્ય 8 ઉમેદવારોએ ભરેલા ફોર્મ પરત ખેંચાઈ તેવી વધુ શક્યતા છે. તેને લઈને હવે ભાજપ આ બેઠક બિનહરીફ જીતે તેવી શક્યતા છે.

સુરતની બેઠક પરથી ભાજપે આ વખતે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. ત્યારે ગઈકાલે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ આખરે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપ સામે 10 અપક્ષ અને 8 નાનીમોટી પાર્ટીના નેતાઓએ ફોર્મ ભર્યા હતા. આ તમામ ફોર્મ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં પરત ખેંચાઈ તેવી શક્યતા છે.