May 7, 2024

રાજકારણમાં હત્યાનો સિલસિલો, વાંચો ત્રણ હાઇ પ્રોફાઇલ મર્ડર કેસ

shivsena two politicians murder in a week rajastha sukhdev singh gogamedi murder case see all details

છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં મર્ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે એક જ અઠવાડિયામાં શિવસેનાના ઉદ્ધવ જૂથના બે નેતાઓની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. તો થોડા સમય પહેલાં રાજસ્થાનમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

શિવસેનાના નેતા અભિષેક ઘોસાલકરની હત્યા
મુંબઈમાં ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, લાઇવ દરમિયાન જ અભિષેકને ખભા પર અને પેટમાં ગોળી મારવામાં આવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આરોપીનું નામ મોરિસ નોરોન્હા હોવાનું સામે આવ્યું છે. તેણે ઘોસાલકરને માર્યા બાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે આ ઘટના મુંબઈના દહીંસરની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, અભિષેક ઘોષાલકર પૂર્વ નગરસેવક હતા અને શિવસેના જૂથના નેતા વિનોદ ઘોષાલકરના દીકરા છે. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાની જેટલી ટીકા કરીએ તેટલી ઓછી છે.

શિવસેનાના નેતા મહેશ ગાયકવાડની હત્યા
બીજા કિસ્સાની વાત કરીએ તો, 6 દિવસ પહેલાં BJP ધારાસભ્યોએ શિવસેના ઉદ્ધવ જૂથના નેતાને ગોળી મારીને પતાવી દીધો હતો. ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં જ ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. કથિત રીતે બંને નેતાઓ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પોલીસે તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે ડીસીપી સુધાકર પઠારેએ જણાવ્યુ હતુ કે, ‘આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય ત્રણની તપાસ ચાલુ છે.’

એડિશનલ સીપી શિંદેના જણાવ્યા અનુસાર, ગણપત ગાયકવાડનો દીકરો જમીન વિવાદ અંગે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો. ત્યારે મહેશ ગાયકવાડ તેના માણસો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ ગણપત ગાયકવાડ પણ ત્યાં પહોંચ્યો હતો. ધારાસભ્ય અને શિવસેનાના નેતા વચ્ચે કથિત રીતે મામલો ઉગ્ર બનતા સિનિયર પોલીસ અધિકારીને ચેમ્બરમાં જ ગણપત ગાયકવાડે શિવસેનાના મહેશ ગાયકવાડ પર ધડાધડ ગોળી ચલાવી હતી. જેમાં મહેશ ગાયકવાડ સહિત તેમનો સહયોગી ઇજાગ્રસ્ત થયો હતો.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા
તો બીજી તરફ, રાજસ્થાનમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વિદેશમાં છુપાયેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ શૂટરો દ્વારા ગોગામેડીની હત્યાનો કારસો ઘડ્યો હતો. બંને શૂટરોએ ગોગામેડીના નજીકના ગણાતા નવીન શેખાવત સાથે મિત્રતા કરી હતી અને તેનો ફાયદનો ઉઠાવીને ગોગામેડી સાથે મુલાકાત ગોઠવી હતી. જેમાં બંને શૂટરોએ ઘરે જઈને સુખદેવ સિંઘ ગોગામેડી પર ધડાધડ ગોળીઓ છોડી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે રાજસ્થાન પોલીસે બે શૂટર સહિત તેમને મદદ કરનારા લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખીય છે કે, આ કેસના માસ્ટરમાઇન્ડ રોહિત ગોદારા છે. તે હાલ પોર્ટુગલ કે અઝરબૈઝાન જેવા દેશમાં છુપાઈને બેઠો છે. આ દરમિયાન હાઇપ્રોફાઇલ મર્ડર કેસની તપાસ જયપુર પોલીસથી માંડીને એનઆઈએને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, રોહિતના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત સંપત નહેરા સાથે નજીકના સંબંધ છે. ગોદારાએ સાગરિત વિરેન્દ્ર ચારણના માધ્યમથી ગોગામેડીને મારવાની સોપારી શૂટર નીતિન ફૌજી અને રોહિત રાઠોરને આપી હતી. તેમને જયપુરમાં રામબીર, મહેન્દ્ર મેઘવાત અને પૂજા સૈની જેવા ગેંગસ્ટરોએ મદદ કરી હતી. જ્યારે આ શૂટઆઉટમાં નવીન શેખાવતનું પણ મોત થયું હતું. તે ગોદારા અને વિરેન્દ્ર ચારણના ઇશારે શૂટર્સને મદદ કરી રહ્યો હતો.