May 19, 2024

ભચાઉ કોર્ટે મૌલાના મુફ્તીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મૌલાના - NEWSCAPITAL

કચ્છઃ જિલ્લાની ભચાઉ કોર્ટે ગતરોજ ઈસ્લામિક ઉપદેશક મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાના મામલામાં ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જ્યારે કોર્ટે આયોજક શિક્ષક મામદખાન મોરના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં પોલીસે મુફ્તિના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કચ્છ-પૂર્વ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, કચ્છ-પૂર્વ પોલીસે બુધવારે મૌલાના અઝહરીને જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કસ્ટડીમાં લીધો હતો. મૌલાનાને કચ્છ લઈ જવામાં આવ્યો હતો અને ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબીએ તેને ભચાઉમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગિતા શર્મા સમક્ષ રજૂ કર્યો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ન્યાયાધીશે પોલીસને રવિવાર સુધી જ તેની કસ્ટડી આપી હતી. જ્યારે કોર્ટે આયોજક શિક્ષક મામદખાન મોરના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.KUTCH - NEWSCAPITAL

સામખિયાળીમાં બીજી એફઆઈઆર નોંધાઈ હતી
31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત પોલીસે 5 ફેબ્રુઆરીએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી. તેના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ, 6 ફેબ્રુઆરીના રોજ, કચ્છ-પૂર્વ પોલીસે 31 જાન્યુઆરીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ અઝહરી વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધી હતી.