May 7, 2024

એસ. જયશંકરે ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા બાદ આપ્યું નિવેદન

Iran Missile Attack: ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી અને ચેતવણી આપી કે જો ઈઝરાયેલ વળતો હુમલો કરશે તો તે જવાબ આપશે. આ દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે આ એક ચિંતાનો વિષય છે કારણ કે આ સંઘર્ષને વધુ વકરી શકે છે. તેમણે કહ્યું કે આ એવી બાબત છે જે આપણા બધા માટે ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રીએ કહ્યું કે તે ક્ષેત્રમાં અમારી કેટલીક ખાસ હિસ્સેદારી છે. ભારતીયોની સુરક્ષા અને બચાવ કામગીરી અંગે તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: ઈરાન હુમલા બાદ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી, નાગરિકોને કરી અપીલ

ઈરાનના મિસાઈલ હુમલા અંગે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘અમે કેટલાક સમયથી ત્યાંની સ્થિતિને લઈને ચિંતિત છીએ. આ (યુદ્ધ) ઓક્ટોબર 7ના રોજ ઈઝરાયેલ પરના હુમલા પછી શરૂ થયું હતું અને અન્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે.’ વિદેશ મંત્રીએ કહ્યું કે, હાલમાં અમે લોકોને ઈઝરાયેલ અને ઈરાનની યાત્રા ન કરવાની સલાહ આપી છે.

ઈરાને ઈઝરાયેલનું જહાજ કબજે કર્યું
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને લઈને ભારતે આ બંને દેશોમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. નોંધનીય છે કે, ગઈકાલે જ ઈરાને ઈઝરાયેલનું એક કન્ટેનર જહાજ કબજે કરીને ઈરાની વિસ્તારમાં લઈ ગયું હતું. ઈરાની સેનાની કમાન્ડો ટીમે હેલિકોપ્ટર વડે જહાજ પર દરોડો પાડ્યો હતો, જેમાં 17 ભારતીયો સહિત 25 ક્રૂ મેમ્બર સવાર હતા.

આ પણ વાંચો: જો હું રાષ્ટ્રપતિ હોત તો ઈરાનની હિંમત ન થાય ઈઝરાયલ પર હુમલો કરે: ડોનાલ્ડ ટ્રમ્પ

અત્યંત સાવધાની રાખવાની સલાહ
ભારતે આ ઘટનાને ધ્યાનમાં રાખીને જારી કરેલી એડવાઈઝરીમાં લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘અમે જે લોકો પહેલાથી જ ત્યાં છે તેમને અત્યંત સાવધાની રાખવા કહ્યું છે. અત્યારે આ જ સમજદારીનું કામ છે. અમે જોઈશું કે આગળ શું થાય છે અને જો અમારે એડવાઈઝરી જારી કરવી પડશે અથવા પગલાં લેવા પડશે, તો અમે તે કરીશું.’

એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારતે પહેલા પણ ભારતીયોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે અમે દરેક જગ્યાએ કર્યું છે. અમે સુદાનમાં બચાવ્યા. 7 ઓક્ટોબરના હુમલા પછી. વધુમાં જયશંકરે કહ્યું કે આ મોદી સરકાર છે. તેથી ભારતને એક મજબૂત નેતાની જરૂર છે.

સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો
આ મહિને 1 એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાની સુરક્ષા ગાર્ડ કમાન્ડરનું મોત થયું હતું. આ હુમલામાં ઈરાની એમ્બેસી સંપૂર્ણપણે નાશ પામી હતી. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ભારતે ઈઝરાયેલને અપીલ કરી હતી કે તે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે.