May 5, 2024

આગ્રામાં PM મોદીએ એક કાંકરે અનેક નિશાન સાધ્યા, સપા-કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

PM Modi in Agra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના આગ્રા લોકસભા મતવિસ્તારમાં જાહેર સભા યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ 9 જાતિઓનો ઉલ્લેખ કરતા સમાજવાદી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આગ્રામાં પીએમ મોદીએ કહ્યું કે અહીં યુપીમાં આપણી પાસે કુર્મી, મૌર્ય, કુશવાહા, યાદવ, જાટ, ગુર્જર, રાજભર તેલી પાલ … જેવી ઘણી ઓબીસી જાતિઓ છે તેમના અધિકારો છે. ભારતના બંધારણ મુજબ અધિકારો છે. સપા અને કોંગ્રેસ તેને તેમની પાસેથી છીનવીને તેમની મનપસંદ વોટ બેંકને આપવા માંગે છે.

પીએમે કહ્યું કે સપા પોતાની વોટ બેંક માટે યાદવો સાથે સૌથી મોટો દગો કરી રહી છે. મોદીએ આરોપ લગાવ્યો કે હવે કોંગ્રેસે નક્કી કર્યું છે કે તે ધર્મના આધારે અનામત લાવશે. આ માટે કોંગ્રેસે એક રસ્તો શોધી કાઢ્યો છે કે 27% OBC ક્વોટામાંથી તેમાંથી કેટલોક હિસ્સો ચોરી કરી છીનવી લેવો જોઈએ અને ધર્મના આધારે અનામત આપવી જોઈએ.

પીએમએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં બે છોકરાઓ વચ્ચેની મિત્રતા પણ તુષ્ટિકરણની રાજનીતિ પર આધારિત છે. આ બંને એકસાથે પોતાના ભાષણોમાં ઓબીસી-ઓબીસીની વાત કરે છે અને પોતાની વોટ બેંકને મજબૂત કરવા પાછલા બારણેથી ઓબીસીના અધિકારો છીનવી લેવા માંગે છે.

આગ્રામાં પીએમએ કહ્યું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે દરરોજ બાબા સાહેબનું અપમાન કરે છે, બંધારણનું અપમાન કરે છે અને સામાજિક ન્યાયનો નાશ કરે છે. આ જ કોંગ્રેસે ક્યારેક કર્ણાટકમાં તો ક્યારેક આંધ્રપ્રદેશમાં વારંવાર પોતાના ઘોષણાપત્રમાં ધર્મના આધારે અનામતની હિમાયત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘SC, ST, OBCના અધિકારો પર લૂંટ કરતા પહેલા અને બહેનોના મંગલસૂત્રને જોતા પહેલા INDI એલાયન્સની દિવાલ પર શું લખેલું છે તે વાંચો અને સાંભળો કે ‘જ્યાં સુધી મોદી છે. ત્યાં સુધી તમે આવા પાપ કરતા પહેલા મોદીનો સામનો કરવો પડશે. અમારો સંકલ્પ છે કે, જે કોઈ ભ્રષ્ટ હશે તેની તપાસ થશે, જેમણે ગરીબોને લૂંટ્યા છે તેઓને લૂંટેલા પૈસા પાછા ગરીબોને મળશે.