May 5, 2024

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, દિબાંગ ખીણનો સંપર્ક તૂટ્યો

અમદાવાદ: અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલનના અહેવાલો સામે આવી રહ્યા છે. જેના કારણે દિબાંગ ખીણના વિસ્તારો સહિત ચીનની સરહદે આવેલા વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સંબંધિત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) એ હાઈવેના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ શરૂ કરી દીધું છે, પરંતુ સતત વરસાદને કારણે સમારકામની કામગીરીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગ NH-33 સ્થાનિક લોકોની સાથે-સાથે સેના માટે પણ ઘણું મહત્વ ધરાવે છે. ભારે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વિસ્તારની મુલાકાત લેતા લોકો માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરી છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર સ્થિતિ સામાન્ય થવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે.

આ પણ વાંચો: વિજયવાડા જતી કાર પાર્ક કરેલા ટ્રકને અથડાઇ, મહિલા અને બાળક સહિત 6ના કરૂણ મોત

દિબાંગ ખીણ સાથેનો સંપર્ક તૂટ્યો
અરુણાચલ પ્રદેશ તેની સરહદ ચીન સાથે વહેંચે છે. આવી સ્થિતિમાં રાજ્યના ઘણા ભાગો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. દિબાંગ ખીણનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે તે ચીન સરહદની નજીક સ્થિત છે. દિબાંગ ખીણને જોડતો એકમાત્ર હાઇવે ભૂસ્ખલનમાં ધોવાઇ ગયો છે. આના કારણે દિબાંગ ખીણ તરફ જવું અથવા ત્યાંથી દેશના અન્ય ભાગો સાથે જોડવું અશક્ય બની ગયું છે. ખીણમાં રહેતા લોકોની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે.

સીએમ પેમા ખાંડુએ વીડિયો શેર કર્યો
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ તેમના X એકાઉન્ટ પર અરુણાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે થયેલી તબાહીનો વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, ‘મુશળધાર વરસાદને કારણે હુનલી અને અનીની વચ્ચેના હાઈવેને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી હું ખૂબ જ ચિંતિત છું. દિબાંગ ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડતા હાઇવેનું સમારકામ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા સૂચના આપવામાં આવી છે.