May 2, 2024

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા

Satyapal Malik CBI Raid: દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગુરુવારે (22 ફેબ્રુઆરી) જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. એએનઆઈના અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

નોંધનીય છે કે અગાઉ પણ સીબીઆઈએ કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસમાં ગયા વર્ષે મે મહિનામાં પણ સીબીઆઈએ આ જ કેસમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી એક સત્યપાલ મલિકના ભૂતપૂર્વ સહયોગી પણ હતા. તપાસ એજન્સીએ સત્યપાલ મલિકના મીડિયા સલાહકાર સૌનક બાલીના ઘરે દરોડા પાડ્યા હતા. બીજી બાજુ હજુ સુધી એ માહિતી મળી નથી કે જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે 30 સ્થળો કયા રાજ્યોમાં છે.

દરોડા પાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે છેઃ સત્યપાલ મલિક
સીબીઆઈના દરોડા પર સત્યપાલ મલિકની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું, ‘હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. બિમાર હોવા છતાં તાનાશાહી દ્વારા સરકારી એજન્સીઓ દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મારા ડ્રાઇવર અને મારા આસિસ્ટન્ટને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને બિનજરૂરી હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરતો નથી. હું ખેડૂતોની સાથે છું.

સત્યપાલ મલિકની રાજકીય સફર
ઉત્તર પ્રદેશ (યુપી)ના બાગપતના રહેવાસી સત્યપાલ મલિકે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય કારકિર્દી 1974માં બાગપતથી ધારાસભ્ય તરીકે શરૂ થઈ હતી. 1980માં તેઓ લોકદળમાંથી સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પહોંચ્યા હતા. ત્યારબાદ યુપીના અલીગઢથી સાંસદ બન્યા હતા. 1996માં સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ મળી હતી પરંતુ આ સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2004માં તેઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2012માં તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતી અને પછી તેમને એક પછી એક 4 રાજ્યોના રાજ્યપાલની જવાબદારી આપવામાં આવી હતી. જેમાં સત્યપાલ મલિકને 2017માં બિહાર, 2018માં જમ્મુ-કાશ્મીર, 2019-ગોવા અને 2020માં મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

સત્યપાલ મલિકે પીએમ મોદીની ટીકા કરી
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. તેમણે પુલવામા હુમલા માટે પીએમ મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે CRPFએ તેના સૈનિકોને જમ્મુથી શ્રીનગર લઈ જવા માટે 4 એરક્રાફ્ટની માંગણી કરી હતી પરંતુ ગૃહ મંત્રાલયે તેમના અનુરોધ પર કાર્યવાહી ન કરી, જેના કારણે તેમને રસ્તા પરથી જવું પડ્યું અને પુલવામા હુમલો થયો હતો. બીજી બાજુ ખેડૂતોના મુદ્દા પર સત્યપાલ મલિકે કહ્યું હતું કે જ્યારે મેં પીએમ મોદીને ખેડૂતો સાથે વાત કરવાનું કહ્યું તો તેમણે મને કહ્યું કે ખેડૂતો જાતે જ ચાલ્યા જશે. ત્યારબાદ બે મહિના પછી કૃષિ કાયદાને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને ત્યારથી પીએમ મોદી સાથે મારી વાતચીત બંધ થઈ ગઈ છે.