May 21, 2024

માલદીવ ભારતને ઘુંટણીયે પડ્યું, નીકળી મુઇઝુની અકડ, હવે માગી મદદ

Maldives Tourism: જ્યારથી મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી બંને દેશો વચ્ચે ખટાશ આવી ગઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપને માલદીવ ગણાવ્યા બાદ વિવાદ વધુ વધ્યો હતો. માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી. જેના પછી ભારતમાં ‘માલદીવ્સ બૉયકોટ’નો ટ્રેન્ડ શરૂ થયો. માલદીવની અર્થવ્યવસ્થામાં ભારતીય પ્રવાસીઓનો મોટો હિસ્સો છે. આવી સ્થિતિમાં વર્ષ 2024માં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયા બાદ માલદીવ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે.

માલદીવ વિદેશી પર્યટકો પાસેથી ઘણી કમાણી કરે છે. આમાં ભારતીય પ્રવાસીઓનો મોટો ફાળો છે. પરંતુ હવે જ્યારે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે માલદીવ નવી રણનીતિ અપનાવી રહ્યું છે. માલદીવ માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન (MMPRC) ના મેનેજિંગ ડિરેક્ટર ફાતિમથ તૌફીકે ખુલાસો કર્યો છે કે ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે હવે નવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ટુરિઝમ બોર્ડના એમડીએ જણાવ્યું હતું કે ટુરિઝમ મિનિસ્ટ્રીએ વર્ષ 2024માં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોતાં જ તેમણે ભારતીય બજારને આકર્ષવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. માલદીવના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 2021 અને 2023 વચ્ચે સૌથી વધુ સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ માલદીવમાં આવ્યા હતા. પરંતુ વિવાદ બાદ ભારતીય પ્રવાસીઓનું રેન્કિંગ પહેલાથી છઠ્ઠા સ્થાને આવી ગયું છે.

માલદીવ પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ભાર આપી રહ્યું છે
ભારત માલદીવ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રવાસી બજાર સ્ત્રોત છે અને તે સૌથી વધુ વૈવિધ્યસભર બજારોમાંનું એક પણ છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જો ભારતીય પ્રવાસીઓ લાંબા સમય સુધી માલદીવથી દૂર રહેશે તો માલદીવને મોટો ફટકો પડી શકે છે. આ અઠવાડિયે એક ઇન્ટરવ્યુમાં, MMPRCના એમડીએ કહ્યું કે ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે એક વિશેષ પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ફાતિમાથે કહ્યું કે, ‘અમે ભારતીય બજારમાંથી પ્રવાસીઓનો પ્રવાહ વધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. સંખ્યા ઘટી રહી હોવાથી અમે પ્રમોશન ચલાવવા માટે વધારાના પ્રયાસો કરીશું. તેમણે કહ્યું કે ભારતીય પ્રવાસીઓનું આગમન વધારવા માટે સિઝન પહેલા જ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે માલદીવે ભારત સરકાર પાસે મદદ પણ માંગી છે.

માલદીવે 25 ટકા લક્ષ્ય હાંસલ કર્યું
માલદીવના પ્રવાસન વિભાગે ભારતીય બજારમાં માલદીવ ટુરિઝમ બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે ઘણી એરલાઈન્સ સાથે કરાર કર્યા છે. એમડીએ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં કેવા પ્રકારના અભિયાન ચલાવશે. જેથી પ્રવાસીઓની સંખ્યા વધી શકે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે માલદીવ સરકાર દ્વારા નિર્ધારિત 20 લાખ વાર્ષિક આગમનના લક્ષ્યને હાંસલ કરીશું. એમડીએ કહ્યું કે તેઓ વાર્ષિક લક્ષ્યના 25 ટકા પહેલાથી જ હાંસલ કરી ચૂક્યા છે. તેથી આ વર્ષે 2 મિલિયનથી વધુ પ્રવાસીઓ આવશે તેવી અપેક્ષા છે.