May 3, 2024

લાઇટ, કેમેરા, રાજનીતિ

Prime 9 with Jigar:  લોકસભાની ચૂંટણીમાં આ વખતે અનેક ફિલ્મસ્ટાર્સ મેદાનમાં છે પણ સૌની નજર કંગના રનૌત પર છે. કન્ટ્રોવર્સી ક્વિન કંગના રનૌતને BJPએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. હિમાચલમાં તમામ ચાર લોકસભા બેઠકો માટે છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન છે. કંગના લોકસભાની ચૂંટણી લડનારી પહેલી ફિલ્મી હસ્તી નથી પણ રાજકારણમાં આવનારી તમામ ફિલ્મી હસ્તી સફળ પણ થઈ નથી. કેટલાકે કારમી હારનો સામનો પણ કરવો પડ્યો છે. બલ્કે વાસ્તવિકતા એ છે કે, હિન્દી ફિલ્મોના સ્ટાર્સ રાજકારણમાં બહું ચાલ્યા નથી.
મંડી લોકસભા બેઠક પરથી કંગના જીતશે તો લોકસભાની ચૂંટણી જીતનારા અમિતાભ બચ્ચન, ગોવિંદા, સુનિલ દત્ત અને વિનોદ ખન્ના વગેરે દિગ્ગજોની હરોળમાં આવી જશે અને હારશે તો શેખર સુમન, બપ્પી લાહિરી, ગુલ પનાગ વગેરે કલાકારોની હરોળમાં આવીને ભૂલાઈ શકે છે.

રાજનીતિમાં કંગના

  • કંગના લાંબા સમયથી હિન્દુત્વની વાતો કરતી હતી.
  • BJPનાં ગુણગાન ગાતી રહેતી હતી.
  • ટિકિટ આપવામાં આવતાં કોઈને આશ્ચર્ય ન થયું.

કંગના એક તરફ ભારતીય સંસ્કૃતિની ઝંડાધારી હોવાની વાતો કરે છે અને બીજી તરફ તેનું અંગત વર્તન તેનાથી વિપરીત છે તેથી પણ મતદારોને તે આકર્ષી શકશે કે કેમ એ સવાલ છે. કંગનાની ફિલ્મી કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે. છેલ્લાં કેટલાક સમયથી તેની ફિલ્મો ચાલતી નથી અને કેટલીક ફિલ્મો તો બોક્સ ઓફિસ પર 10 કરોડનું કલેક્શન પણ કરી શકી નથી. સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત વખતે કંગનાએ કરણ જોહરથી માંડીને સલમાન ખાન સુધીના લોકો સામે બેફામ આક્ષેપો કર્યા હતા. કંગનાએ સુશાંતના આપઘાત પછી લાંબો વીડિયો મૂકીને સુશાંતને શ્રધ્ધાંજલિ આપી હતી. કંગના એવો દાવો કરતી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાઈ બદેલા માફિયાઓના કારણે સુશાંતે જીવન ટૂંકાવી દીધું. ભૂષણ કુમાર, સલમાન ખાન, કરણ જોહર વગેરેને આરોપીના કઠેરામાં ઉભા કરીને કંગનાએ તેમને વિલન જ ચીતર્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં કંગનાની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નથી. આ સંજોગોમાં રાજકારણ તેના માટે નવી કારકિર્દી બની શકે પણ મંડીમાં કંગના હારશે તો તેની રાજકીય કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય એવી પૂરી શક્યતા છે. બોલીવુડના ફિલ્મ સ્ટાર્સ રાજકારણમાં વર્ષોથી સક્રિય છે પણ ચૂંટણીના અખાડામાં નહોતા ઉતરતા. હિન્દી સિનેમાના નરગિસ, દેવાનંદ, દિલીપકુમાર, આઈ.એસ. જૌહર વગેરે રાજકારણમાં સક્રિય હતા પણ સીધા ચૂંટણી જંગમાં નહોતા ઉતર્યા.

રાજનીતિમાં એક્ટર્સ

  • ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદતાં અનેક સ્ટાર્સે કર્યો વિરોધ.
  • કિશોર કુમારનાં ગીતો પર પ્રતિબંધ મુકાયો.
  • દેવાનંદે અલગ પક્ષ રચવાની જાહેરાત કરી, પણ પક્ષ ન રચાયો.
  • હિન્દી ફિલ્મ સ્ટાર્સને રાજકારણમાં લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને.
  • રાજીવે 1984માં અમિતાભ બચ્ચન, વૈજ્યંતિમાલા અને સુનિલ દત્તને ટિકિટ આપી.

ઇન્દિરાની હત્યા પછી 1984ની ચૂંટણી યોજાઈ ત્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણા પોતાની પરંપરાગત ગઢવાલ લોકસભા બેઠક છોડીને અલાહાબાદની સલામત ગણાતી બેઠક પરથી ઉભા રહ્યા હતા. રાજીવ ગાંધીએ જોરદાર દાવ ખેલીને બહુગુણા સામે અમિતાભ બચ્ચનને ઉભા કરી દીધા હતા. અમિતાભ બચ્ચન એ વખતે બોલીવુડનો બેતાજ બાદશાહ હતા. ઇન્દિરાની હત્યાની સહાનુભૂતિ અને અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના વાવાઝોડામાં બહુગુણા સામે બચ્ચન અઢી લાખ મતે જીતી ગયા હતા.

રાજનીતિમાં એક્ટર્સ

  • સુનીલ દત્ત મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી જીત્યા.
  • સુનીલ દત્ત કુલ પાંચ વાર જીત્યા.
  • વૈજ્યંતીમાલા તમિલનાડુની ચેન્નઈ સાઉથ બેઠક પરથી જીત્યા.
  • વૈજ્યંતીમાલા સળંગ બે ટર્મ માટે લોકસભાનાં સભ્ય રહ્યાં.
  • અમિતાભ બચ્ચન બોફોર્સ કૌભાંડમાં ખરડાયા.
  • બચ્ચને મુદત પૂરી થાય એ પહેલાં જ લોકસભાનું સભ્યપદ છોડ્યું.
  • કોંગ્રેસે 1991માં રાજેશ ખન્નાને દિલ્હીમાં અડવાણી સામે ઉતાર્યા.
  • રાજેશ ખન્ના જોરદાર લડત આપીને હાર્યા.
  • અડવાણીએ દિલ્હી બેઠક ખાલી કરી.
  • પેટાચૂંટણીમાં જીતીને રાજેશ ખન્ના સંસદસભ્ય બન્યા.
  • 1991માં દીપિકા ચિખલિયા BJPની ટિકિટ પર જીતીને MP બન્યાં.
  • અરવિંદ ત્રિવેદી BJPની ટિકિટ પર જીતીને MP બન્યા.
  • નીતિશ ભારદ્વાજ જમશેદપુરમાંથી જીતીને સાંસદ બન્યા.
  • હિન્દી સ્ટાર્સમાં વિનોદ ખન્નાની કારકિર્દી સૌથી લાંબી રહી.
  • વિનોદ ખન્ના ચાર વાર જીત્યા અને વાજપેયી સરકારમાં પ્રધાન પણ રહ્યા.

આ સિવાય ધર્મેન્દ્ર, હેમામાલિની, જયાપ્રદા, ગોવિંદા, કિરણ ખેર, મૂનમૂન સેન, પરેશ રાવલ, જયા પ્રદા, રવિ કિશન, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, બાબુલ સુપ્રિયો, સની દેઓલ વગેરે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં છે.

રાજનીતિમાં એક્ટર્સ

  • સની દેઓલ અત્યારે પંજાબના ગુરદાસપુરનો MP.
  • સની ફરી ચૂંટણી નથી લડી રહ્યો.
  • હેમા માલિની મથુરાથી સાંસદ.
  • BJPએ હેમા માલિનીને ફરી ટિકિટ આપી.
  • ધર્મેન્દ્ર જોધપુર બેઠક પરથી BJPની ટિકિટ પર જીત્યા.
  • ગોવિંદા એક વાર કોંગ્રેસની ટિકિટ પર મુંબઈથી જીતીને સાંસદ બન્યા.
  • ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા.
  • પરેશ રાવલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના સાંસદ તરીકે ચૂંટાયા.
  • કિરણ ખેર અત્યારે ચંદીગઢનાં સાંસદ.
  • BJPએ કિરણ ખેરને ટિકિટ નથી આપી.
  • રવિ કિશન ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠકના સાંસદ

શત્રુઘ્ન સિંહા પહેલાં BJPની ટિકિટ પર બિહારની પટણા સાહિબ બેઠક પરથી જીતીને સાંસદ બન્યા. અત્યારે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર આસનસોલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સિંહા અત્યારે આસનસોલ બેઠકના સાંસદ પણ છે.

રાજનીતિમાં એક્ટર્સ

  • જયા પ્રદા UPની રામપુર બેઠક પરથી SPની ટિકિટ પર જીત્યા.
  • રાજ બબ્બર UPના આગ્રાથી લોકસભાની ચૂંટણી જીત્યા.
  • મૂન મૂન સેન પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠક પર જીત્યાં.

આ તો લોકસભા ચૂંટણી જીતનારી હિન્દી હસ્તીઓની વાત કરી, પણ ઘણી હસ્તીઓ રાજકારણમાં છે અને સાંસદ બની છે પણ લોકસભાની ચૂંટણી નથી લડી. સંજય દત્ત, અનુપમ ખેર, સુરેશ ઓબેરોય, વિવેક ઓબેરોય, નગમા વગેરે રાજકારણમાં સક્રિય છે પણ ચૂંટણી પણ નથી લડ્યાં.

લોકસભાની ચૂંટણી લડ્યા વિના સાંસદ બનનારાંઓમાં જયા બચ્ચન મોખરે છે. જયા બચ્ચન 2004થી રાજ્યસભાનાં સભ્ય છે. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતનારાં જયા બચ્ચનની આ પાંચમી ટર્મ છે. હિન્દી ફિલ્મ સ્ટાર્સમાંથી દારાસિંહ, મિથુન ચક્રવર્તી, રેખા, શબાના આઝમી વગેરે પણ સત્તાધારી પક્ષ સાથેની નિકટતાના કારણે રાજ્યસભામાં સભ્ય બન્યાં છે.હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલી ઘણી સેલિબ્રિટીઝ લોકસભાની ચૂંટણીમાં હારી પણ છે. રામાયણના રામ અરૂણ ગોવિલ અત્યારે ફરી લડી રહ્યા છે પણ પહેલાં હારી ચૂક્યા છે. આ સિવાય શેખર સુમન, બપ્પી લાહિરી, ગુલ પનાગ, જાવેદ જાફરી, મહેશ માંજરેકર, રાખી સાવંત વગેરે લોકસભાની ચૂંટણીમાં હારી ગયાં છેકંગના રનૌતનું નામ લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલી હસ્તીઓ કરતાં ચોક્કસ જ મોટું છે પણ તેની સામે હરીફ પણ જોરદાર તાકાતવર છે તેથી કંગનાનું નામ પણ આ યાદીમાં આવી જાય તો નવાઈ નહી લાગે. કંગના રનૌત વિક્રમાદિત્યસિંહને હરાવી દેશે તો જાયન્ટ કિલર કહેવાશે અને તેનો સ્ટાર પાવર સાબિત થઈ જશે.

BJPએ કંગનાને ટિકિટ આપી ત્યારે સૌને લાગ્યું હતું કે, કંગના સરળતાથી જીતી જશે પણ કોંગ્રેસના દાવે કંગનાની બધી ગણતરીઓને ઊંધી વાળી દીધી છે. કોંગ્રેસે કંગના રનૌત સામે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહને ઉતારી દેતાં કંગનાના કેમ્પમાં ગભરાટ છે. વિક્રમાદિત્ય અને કંગના બંને રાજપૂત છે પણ આ બે રાજપૂતોના જંગમાં વિક્રમાદિત્યનું પલડું ભારે છે.

વિક્રમાદિત્યનો પ્રભાવ

  • વિક્રમાદિત્ય શિમલા ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય.
  • વિક્રમાદિત્યની છેલ્લી બે ટર્મથી આ બેઠક પર જીત.
  • વિક્રમાદિત્ય મેદાનમાં આવતાં કંગના માટે જંગ કપરો.
  • મંડી લોકસભા બેઠક વિરભદ્રસિંહના પરિવારનો ગઢ.
  • વીરભદ્રસિંહ છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા.
  • વીરભદ્રસિંહ 1971માં પહેલી વાર મંડી બેઠક પરથી ચૂંટાયા.
  • વીરભદ્રસિંહ 1980 અને 2009માં ફરી ચૂંટાયા

વિરભદ્રસિંહનાં પત્ની પ્રતિભા સિંહ પણ આ બેઠક પરથી ત્રણ વાર લોકસભામાં ચૂંટાયાં. 2004ની લોકસભાની ચૂંટણીમાં અને 2013માં વિરભદ્રસિંહ મુખ્યમંત્રી બનતાં ખાલી કરેલી બેઠક પરની પેટાચૂંટણીમાં પ્રતિભા સિંહ ચૂંટાયાં હતાં. કંગના સામે વિક્રમાદિત્યનું પલડું ભારે છે તેનાં કારણો સમજવા જેવાં છે. વિરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના બુશહર રાજવી પરિવારમાંથી આવે છે.

કંગના VS વિક્રમાદિત્ય

  • લોકોને રાજવી પરિવાર પ્રત્યે માન.
  • વિક્રમાદિત્યની લોકપ્રિયતા વધુ.
  • વીરભદ્રસિંહ સામાન્ય જનતા સાથે જોડાયેલા રહ્યા.
  • હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પર વિરભદ્રસિંહનું એકચક્રી શાસન.
  • વ્યક્તિગત રીતે પણ વીરભદ્ર પરિવારનો દબદબો.

વીરભદ્ર સિંહના અવસાન પછી તેમનાં પત્ની પ્રતિભા સિંહને કોંગ્રેસે આગળ કરવાં પડ્યા હતા. પ્રતિભા સિંહે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફરી સત્તા અપાવીને પોતાની તાકાત પણ સાબિત કરી જ છે. હાલમાં વીરભદ્રસિંહનાં પત્ની અને વિક્રમાદિત્યનાં માતા પ્રતિભા સિંહ મંડીનાં સાંસદ છે. BJPના મંડી લોકસભા બેઠકના સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર પ્રતિભા સિંહ જીત્યાં હતાં. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં ખાતું નહોતું ખોલાવી શકી અને ચારેય બેઠકો BJPએ જીતી હતી. મંડી લોકસભા બેઠક પરથી BJPના રામસ્વરૂપ શર્મા 2019ની લોકસભા ચૂંટણીમાં 4 લાખથી વધારે મતે જીત્યા પણ પ્રતિભા સિંહ 2021માં એ બેઠક BJP પાસેથી ખૂંચવી લાવ્યાં હતાં. વિધાનસભાની ચૂંટણી વખતે પણ પ્રતિભા સિંહ પ્રદેશ પ્રમુખ હતાં અને તેમણે કોંગ્રેસને જીત અપાવી હતી. પ્રતિભાના સમર્થકો ઈચ્છતા હતા કે, વિરભદ્રસિંહના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડે કે જેથી તેમનું વર્ચસ્વ જળવાય. આ કારણે પ્રજાનું પણ વિક્રમાદિત્યને સમર્થન છે. બીજું એ કે, વિક્રમાદિત્ય સામે કંગના પાસે કોઈ મુદ્દો નથી.

મુદ્દો શું રહેશે?

  • કોંગ્રેસ હિંદુ વિરોધી હોવાનો મુદ્દો ઉઠાવે છે BJP.
  • કોંગ્રેસના નેતાઓ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર ન રહ્યા.
  • વિક્રમાદિત્ય રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગયા.
  • વિક્રમાદિત્યે જાહેર કર્યું કે, ‘હું એક કટ્ટર હિંદુ છું’.

વિક્રમાદિત્ય સિંહ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા તેથી BJPના સમર્થકોને પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. આ સંજોગોમાં કંગનાએ પોતાની સ્ટાર ઈમેજના જોરે જ જીતવું પડે તેમ છે. કંગનાની તકલીફ એ છે કે, તેની ઇમેજ બહું સારી નથી. કંગના લાંબા સમયથી સતત નિવેદનો આપ્યા કરે છે પણ તેનાં નિવેદનો ગંભીર હોવાના બદલે બફાટભર્યાં વધારે હોય છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે ટિકિટ મળ્યા પછી કંગનાએ બફાટ ચાલુ રાખીને એક ટીવી ઇન્ટરવ્યૂમાં, જવાહરલાલ નહેરુને નહીં પણ સુભાષચંદ્ર બોઝને ભારતના પહેલા વડા પ્રધાન ગણાવ્યા હતા. કંગનાએ દાવો કર્યો કે, જવાહરલાલ નહેરૂ દેશના પહેલા PM નહોતા પણ સુભાષચંદ્ર બોઝ દેશના પહેલા PM હતા. કેમ કે 1943માં સુભાષચંદ્ર બોઝે દેશની પહેલી સરકાર બનાવી હતી.કંગનાના દાવાને પગલે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ. ઘણાંએ કંગનાના અજ્ઞાનની મજાક ઉડાવીને તેને ઈતિહાસ વાંચવાની સલાહ પણ આપી દીધી. સામે કંગનાએ પોતે ઈતિહાસ સારી રીતે જાણે છે એવો જવાબ આપ્યો. તેમાં સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું. આ વિવાદ વણજોઈતો હતો પણ કંગના આ પ્રકારના વિવાદો સર્જવા માટે જાણીતી છે. કંગનાએ ભૂતકાળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી માંડીને રાહુલ ગાંધી સુધીનાં લોકો વિશે આ પ્રકારની વાહિયાત કોમેન્ટ્સ કરી છે.

BJPભક્તિમાં લીન અને નવી નવી હિંદુવાદના રંગે રંગાયેલી કંગનાએ 2021માં એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, દેશને અસલી આઝાદી 2014માં મળી જ્યારે 1947માં મળેલી આઝાદી તો ભીખ હતી.BJPના સાંસદ વરૂણ ગાંધીએ આ વાત સામે વાંધો ઉઠાવીને સવાલ કર્યો હતો કે, ‘દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તેને ગાંડપણ કહું કે દેશદ્રોહ?’આ સવાલથી ભડકેલી કંગનાએ ટ્વિટ કરીને વરૂણને જવાબ આપ્યો હતો કે, ‘મેં સ્પષ્ટ કર્યું છે કે, 1857માં આઝાદીની પહેલી લડાઈ થઈ હતી કે જેને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને પોતાના અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધાં. એક સદી પછી ગાંધીજીના ભીખના કટોરામાં આપણને આઝાદી આપી દીધી…..જાઓ અને રડ્યા કરો.’

જૂઠાણું પકડાયું

  • 2021માં UPમાં ગાઝીપુરમાં ગંગા નદીના કિનારે તણાઈ આવ્યા મૃતદેહો.
  • અઠવાડિયા લગી ગંગા નદીમાં મૃતદેહો તરતા મળી આવ્યા.
  • કંગનાએ આ મૃતદેહોનાં દૃશ્યો નાઈજીરિયાનાં હોવાની કોમેન્ટ કરી.
  • જળશક્તિ મંત્રી શેખાવતે એ દૃશ્યો ગંગા નદીનાં જ હોવાનું સ્વીકાર્યું.
  • શેખાવતે આ ઘટનાને આઘાતજનક પણ ગણાવી.
  • તપાસના આદેશ પણ આપવામાં આવ્યા.
  • કંગનાનું જૂઠાણું પકડાઈ ગયું

કંગનાની અંગત જિંદગી પણ વિવાદાસ્પદ છે. કંગના ફિલ્મોમાં આવી ત્યારે લફરાબાજી માટે વગોવાયેલા આદિત્ય પંચોલી સાથે રહેતી હતી. આદિત્ય પરણેલો છે અને તેનો દીકરો સૂરજ પંચોલી કંગના કરતાં બહું નાનો નહીં હોય. આદિત્ય અને સૂરજ બંને એક્ટ્રેસ જિયા ખાનના આપઘાતના કેસમાં શંકાના દાયરામાં આવી ગયા હતા અને માંડ છુટ્યા છે. કંગના પોતાના ફાયદા માટે આવી વ્યક્તિ સાથે સંબંધ રાખે એ આઘાતજનક કહેવાય.

વિવાદોનું બીજું નામ કંગના

  • કંગનાએ પોતે ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત કરી.
  • કંગનાને પહેલાં અધ્યયન સુમન સાથે હતા સંબધો.
  • ભરપૂર અંગપ્રદર્શન કરતી કંગનાની તસવીરો.