May 4, 2024

અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે AMTSની અડફેટે યુવાનનું કરુણ મોત

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદના મણીનગર વિસ્તારમાં ગત 19 એપ્રિલના રોજ યુવાનનુ AMTSની ટક્કરથી મોત નિપજ્યું હતું, જેમાં ડ્રાઇવર અકસ્માત કરીને ફરાર થઇ ચુક્યો હતો. બીજી બાજુ તંત્રએ કોન્ટ્રાક્ટરને ફક્ત 2 લાખ રૂપિયાનો દંડ વસુલીને સંતોષ માન્યો છે. AMTS બસની ટક્કરથી શહેરના આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત 19 એપ્રિલની જ્યારે બપોરના સમયે જ્યારે યુવાન પોતાનું એક્ટીવા લઇને મણીનગર પાસે આવેલ ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એએમટીએસ બસના ડ્રાઇવરે તેને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ પણ ડ્રાઇવરે બસ ઉભી ન રાખતા આગળના ટાયરની સાથે સાથે પાછળનુ ટાયર પણ યુવાન પરથી ફરી વળ્યુ હતુ. આ ગંભીર અકસ્માત બાદ પણ એએમટીએસના ડ્રાઇવરે ઉભા રહેવાની તસ્દી લીધી ન હતી અને ત્યાથી બસ લઇને નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને હવે તેના પર પોલિસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: હોમ ડિપાર્ટમેન્ટના નકલી અધિકારી બનીને રોફ જમાવતો નબીરો ઝડપાયો

આ બસનો કોનટ્રાક્ટ ભાજપના કોર્પોરેટર અને દંડક શિતલ બેન ડાધાના પતિ આનંદ ડાધાને આપવામા આવ્યો છે જેઓ અર્હમ કંપની ચલાવે છે અને તે અંતર્ગત એએમટીએસ બસનો કોન્ટ્રા્કટ આપવામા આવ્યો છે.

આ સમગ્ર મામલે વિપક્ષ કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે બીજેપીની સરકારે ભ્રષ્ટાચાર આદરીને મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે દિવસેને દિવસે અકસ્માતોની વણઝાર કરી રહી છે. વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષમા એએમટીએસ દ્વારા 7200થી વધુ એકસ્માતો થયા છે અને 170થી વધુના મોત થયા છે ત્યારે તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી કરવામા આવવી જોઇએ અને કોન્ટ્રકટર પાસેથી નિયમ મુજબ દંડ વસુલી કરીને તેને બ્લેક લિસ્ટ કરવી જોઇએ.

તો આ સમગ્ર મામલે એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઇએ જણાવ્યું હતું કે આ ઘટના દુખદ છે અને કંપનીને 2 લાખ રૂપિયાનો દંડ અને ડ્રાઇવરને બરતરફ કરવામાં આવ્યો છે. અવારનવાર અકસ્માતો થાય છે ત્યારે તંત્ર દ્વારા ડ્રાઇવર ને મેડિટેશન અને અન્ય પ્રવૃતિઓ કરાવવામા આવશે જેથી તેઓનો તણાવ ઘટાડી શકાય.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લે આ સેન્ટરમાં ક્યારે ટ્રેનિંગ અપાઇ તેની જાણકારી ખુદ એએમટીએસના અધિકારીને નથી ત્યારે અમદાવાદમાં એએમટીએસ બસનુ સંચાલન કેવી રીતે ચાલતુ હશે તે આપ સમજી શકો છો.