May 4, 2024

જે.પી નડ્ડાએ બપોરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે ગુજરાત આવ્યા છે. જે.પી નડ્ડા આજે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવશે. સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે 11 કલાકે ગાંધીનગર સચિવાલય સંકુલ પહોંચ્યા હતા. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. નોંધનીય છે કે ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે આ યાદીમાં ગુજરાતમાંથી જે.પી.નડ્ડા, ગોવિંદભાઇ ધોળકીયા, મયંકભાઇ નાયક અને અને જશવંતસિંહ સાલમસિંહના નામની જાહેરાત કરી છે. ચારેય ઉમેદવારે આજે ફોર્મ ભર્યા છે.

જે.પી. નડ્ડાની રાજકીય સફર
જે.પી. નડ્ડા બિહારમાં જેપી આંદોલનમાંથી આવ્યા ચર્ચામાં આવ્યાં હતા. નડ્ડાએ 1977-79માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1982માં વિદ્યાર્થી પરિષદના પ્રચારક બન્યા હતા. 1989માં ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બન્યા હતા. 1993માં હિમાચલ પ્રદેશના ધારાસભ્ય કરીકે ચૂંટાયા હતા. 2010માં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા હતા. 2012માં રાજ્યસભામાં મેળવ્યો હતો પ્રવેશ. 2014માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા હતા. 2019માં ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.

કોણ છે ગોવિંદ ધોળકિયા
ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર 1947ના ગુજરાતના અમરેલીમાં આવેલા દુધાળામાં થયો છે. તેઓનો પરિવાર ખેડૂત છે. અત્યારના સમયમાં તેમનું નામ ખુબ ચર્ચામાં રહે છે પરંતુ તેમનું જીવન ખુબ જ સંઘર્ષમાં વીત્યું છે. તેઓ જયારે નાના હતા ત્યારે ઘરની પરિસ્થિતિ જોઈને ભણવાનું મૂકી દીધું હતું. વર્ષ 1964 માં તેમના મોટા ભાઈ ભીમજી સાથે ડાયમંડ પોલિશિંગ શરૂ કર્યું હતું. તેમણે ઘણા સમય સુધી હીરાના કારીગર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 12 માર્ચ, 1970 ના રોજ પોતાની હીરાની ફેક્ટરી શરૂ કરી હતી. હીરાના વ્યવસાયને સારી રીતે સ્થાપિત કર્યા પછી તેમણે 1977 માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના નામથી પોતાનો નિકાસ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તે વિશ્વના ઘણા દેશોમાં બિઝનેસ કરતી જાયન્ટ કંપની બની ગઈ છે.

ભાજપની બીજી યાદી જાહેર 
ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે આજે બીજી યાદી જાહેર કરી છે. અગાઉ ભાજપે 5 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પાર્ટીએ મધ્યપ્રદેશથી ડો.એલ. મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરને ઉમેદવાર બનાવ્યા છે.

રાજ્યસભા માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન
રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતદાન થયા બાદ તે જ દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે.