May 1, 2024

‘કડક પગલાં લો’…સુકેશ આપતો હતો ધમકી, તો જેકલીને કરી દીધી ફરિયાદ

મુંબઈ:  બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પાસે ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીનો દાવો છે કે જેલમાં હોવા છતાં સુકેશ તેને સતત હેરાન કરી રહ્યો છે અને ધમકાવી રહ્યો છે. સુકેશ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મંડોલી જેલમાં છે. તે અભિનેત્રીને સતત પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરતો રહે છે અને કદાચ તેનાથી નારાજ થઈને અભિનેત્રીએ હવે ફરિયાદ કરી છે.

એક અહેવાલ મુજબ જેકલીન ફર્નાન્ડિસે તાજેતરમાં પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખ્યો છે. તેમણે સાક્ષીઓને બચાવવામાં તંત્રની નિષ્ફળતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઓફિશિયલ ઈમેલ આઈડી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં અભિનેત્રીએ પોલીસ કમિશનરને તેની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અભિનેત્રીએ કહ્યું કે તે એક જવાબદાર નાગરિક પણ છે. પરંતુ તે હાલમાં એવા કેસમાં ફસાઈ છે જેના પરિણામો તેના ભવિષ્ય માટે હાનિકારક હશે.

જેક્લિને ન્યૂઝ પેપરની કટિંગ્સ પણ મોકલી હતી
અભિનેત્રીએ દાવો કર્યો હતો કે સુકેશ તેને જેલની અંદરથી હેરાન કરી રહ્યો હતો. તે માનસિક ત્રાસ આપે છે અને ધમકી પણ આપે છે. તેને ખબર નથી કે તેને જેલની અંદરથી આ રીતે વાતચીત કરવાની તક કેવી રીતે મળી રહી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ. ફરિયાદમાં અભિનેત્રીએ ડિસેમ્બર 2023માં પ્રકાશિત થયેલા અખબારોના ત્રણ કટિંગ્સ પણ જોડ્યા છે.

જેકલીને પોલીસ કમિશનર પાસે માંગણી કરી
જેક્લિને કહ્યું કે તેની સુરક્ષા માટે ખતરો છે, તેથી આ મામલાની તપાસ વહેલી તકે શરૂ થવી જોઈએ. તેમજ તેની સામે આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ. કારણ કે તેનું આવું કરવાથી માત્ર મને જ પરેશાની નથી થઈ રહી. પરંતુ તે દેશની કાયદો અને વ્યવસ્થા અને ન્યાય વ્યવસ્થા પર પણ એક પ્રકારનો હુમલો છે. અભિનેત્રીએ માંગ કરી હતી કે સુકેશ પાસે ઉપલબ્ધ તમામ સંચાર માધ્યમોની તપાસ કરવામાં આવે અને તેનો દુરુપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવે.