October 5, 2024

પથ્થરમારાની ઘટના મામલે રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ કોંગ્રેસના 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદ: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે આજે અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેમાં તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ ટીઆપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતો સાથે વાર્તાલાપ કરશે. રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ત્યારે થોડા દિવસો અગાઉ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જે બાદ અહીં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એવામાં આજે કોંગ્રેસ ઓફિસ ખાતે થયેલા પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રેસના 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા.

અમદાવાદ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા છે અને રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આઇઓ પાસેઆ મામલે ખુલાસો માંગ્યો હતો. જેમાં આઈપીઓએ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા કરાતી કલર કોડની આગાહીનો મતલબ શું હોય છે, જાણો?

તમને જણાવી દઇએ કે, પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રેસના 5 કાર્યકરોના રિમાન્ડ આજે સાંજે 4:00 વાગે પૂર્ણ થઈ રહ્યા છે અને સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે અમદાવાદ આવી રહ્યા છે. સાથે જ તેઓને અમદાવાદમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસની ફરિયાદ પોલીસ ના લેતા શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી. જે બાદ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે અહીં તેઓ અમદાવાદ આવીને ધરપકડ થયેલા નેતાઓને મળી શકે છે.