October 10, 2024

મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ

ગાંધીનગર: મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાના 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બુધવારે એક સ્મારક ટપાલ ટિકિટનું આજે ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 9-ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસે ઇન્ડિયા પોસ્ટ દ્વારા આ સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે.

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી આ સ્મારક સ્ટેમ્પનું શીર્ષક ” પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” છે અને 12 સ્ટેમ્પ ધરાવતી સ્ટેમ્પની શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. હૈદરાબાદના સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. એટલું જ નહીં, સ્ટેમ્પ શીટની નકલ નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.

આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ઈ-પોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આ મુન્દ્રા પોર્ટ સ્મારક સ્ટેમ્પ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ દ્વારા વિશેષ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ રજૂ કરવામાં આવી છે. કચ્છ અખાતના ઉત્તર કિનારે આવેલું મુન્દ્રા મહત્વનું પોર્ટ છે. આ પોર્ટ પર ગુજરાત મેરિટાઈ બોર્ડ દ્વારા 1994માં કેપ્ટિવ જેટી તરીકે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, ત્યાર બાદ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આ પોર્ટનો વિકાસ થયો છે, એટલું જ નહીં, 2001થી મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક સેઝ (MPSEZ) કાર્યરત છે.

આ વિશેષ સ્મારક ટપાલ ટિકિટ વિમોચન વેળાએ ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, મુખ્યમંત્રીરીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મનોજકુમાર દાસ તેમજ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને ઈન્ડિયા પોસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.