May 7, 2024

મહાકાલ મંદિરમાં લાગેલી આગમાં સેવક સત્યનારાયણ સોનીનું સારવાર દરમિયાન મોત

Mahakal Fire Incident: હોળીના અવસરે બાબા મહાકાલના ગર્ભગૃહમાં કેમિકલયુક્ત ગુલાલને કારણે લાગેલી ભીષણ આગમાં એક સેવકનું મોત થયું છે. બુધવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાબા મહાકાલના સેવક સત્યનારાયણ સોનીનું સારવાર દરમિયાન મોત થયું છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં પૂજારી કર્મચારી અને કુલ 14 નોકર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ આગ પછી દાઝી ગયેલા તમામ લોકોને સારવાર માટે ઈન્દોરની અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવાર રાત સુધી આ આગમાં દાઝી ગયેલા તમામ લોકો સ્વસ્થ હતા, પરંતુ બુધવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાબા મહાકાલના સેવક સત્યનારાયણ સોનીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં ભસ્મ આરતી સમયે ગર્ભગૃહમાં લાગી આગ, 14 લોકો દાઝ્યાં 

ઉલ્લેખનીય છે કે 25 માર્ચે સવારે 5.49 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાંથી 9ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા. 5ની સારવાર ઉજ્જૈનમાં જ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 80 વર્ષીય સત્યનારાયણ સોનીને ગંભીર રીતે દાઝી ગયેલી ઈજાઓને કારણે ઈન્દોરની અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારી સારવાર માટે તાજેતરમાં મુંબઈની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કહેવાય છે કે સત્યનારાયણ સોની બાબા મહાકાલના સાચા સેવક હતા, જેઓ કોઈપણ કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતા, પછી તે ભસ્મ આરતીમાં સફાઈ કરવી, પૂજા સામગ્રી એકઠી કરવી કે અન્ય કોઈ કામ કરવું. મહાકાલ મંદિરના પૂજારીનું કહેવું છે કે, બાબા મહાકાલની પૂજા કરવા માટે અન્ય કોઇ પૂજારીનો સમય ચાલતો હોય, પરંતુ તેમના સહયોગી તરીકે સત્યનારાયણ સોની હંમેશા સેવા આપવા હાજર રહેતા હતા. આ આગમાં દાઝી ગયેલા પૂજારીના પુત્ર મનોજ શર્મા (43), પૂજારી સંજય શર્મા (50) અને નોકર ચિંતામન (65)ની સારવાર હજુ પણ ઈન્દોરની ઔરોબિંદો હોસ્પિટલમાં ચાલી રહી છે.