April 30, 2024

રામલલાને થયેલ સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ પીએમ મોદીએ LIVE જોઈ

અયોધ્યામાં રામલલાને સૂર્ય તિલકની અદ્ભુત અને અપ્રતિમ ક્ષણને પીએમ મોદીએ ટેબલેટ પર જોઈ હતી.

આસામ: આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ શ્રી રામની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામને આજે સૂર્યકિરણોથી તિલક કરવામાં આવ્યો છે. બપોરના 12.16 મિનિટે સૂર્યના કિરણો ભગવાનના લલાટ પર પડ્યા હતા અને એક તેજસ્વી તિલક સાથે પ્રભૂ શ્રી રામની મૂર્તિ જળહળી ઊઠી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓનલાઈન ભગવાન રામના લલાટ પર થયેલ સૂર્ય તિલકને જોયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના નલબાડીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રેલીને સંબોધતા પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને રામ નવમીની શુભકામનાઓ પાઠવી હતી. આ ખાસ અવસર પર તેમણે પોતાના ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરી અને લોકોને રામ લલ્લાના સૂર્ય તિલક સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવા માટે સૂર્ય ભગવાન સ્વયં કિરણના રૂપમાં અવતરે છે, ત્યારે સમગ્ર દેશમાં એક નવું વાતાવરણ છે અને આ ભગવાન શ્રી રામનો જન્મદિવસ 500 વર્ષ પછી આવ્યો છે જ્યારે તેમને પોતાના ઘરમાં જન્મદિવસ ઉજવવોનું સૌભાગ્યુ મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના નલબાડીની સભા બાદ અયોધ્યામાં રામલલાને સૂર્ય તિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણને તેમના ટેબલેટ પર જોઈ હતી. જે બાદ પીએમ મોદીએ તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ પણ કર્યું છે. જેમાં તેઓ આ અદ્ભુત ક્ષણને જોતા હતા. આ ટ્વીટના કેપ્શનમાં તેમણે લખ્યું,‘આ સૂર્ય તિલક, વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જાથી આ પ્રમાણે જ પ્રકાશિત કરશે.’

આ પણ વાંચો: અયોધ્યામાં શ્રી રામનું સૂર્ય તિલક, પ્રભૂની મૂર્તિ ઝળહળી ઉઠી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમ વખત મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી રામ પર સૂર્યકિરણથી તિલક બપોરે 12.16 કલાકે થયું છે. આ શુભ મુહૂર્ત બપોરે 1.35 વાગ્યા સુધી રહેશે. મહત્વનું છે કે, આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે સવારે 3.30 કલાકે રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે અને 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED અને સરકારે 50 LEDની વ્યવસ્થા કરી છે.