May 7, 2024

નીતિશ કુમારે INDIA એલાયન્સના કન્વીનર બનવાનો કર્યો ઇનકાર, આ નેતાઓ પણ મીટિંગમાં હાજર ન રહ્યા !

INDIA - NEWSCAPITAL

આજે યોજાયેલી INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ નીતિશ કુમારે INDIA ગઠબંધનના કન્વીનર બનવાનો ઇનકાર કર્યો હતો.  મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રચાયેલા 28 પક્ષોના ગઠબંધનની એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક આજે યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, બિહારના સીએમ નીતિશ કુમાર, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા સીતારામ યેચુરી, તમિલનાડુના સીએમ અને ડીએમકે ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા નેતા અખિલેશ યાદવ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં હાજર રહ્યા ન હતા.

આ નેતાઓ બેઠકમાં સામેલ ન થયા

બેઠકોની વહેંચણી, ગઠબંધન સંયોજક બનાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે INDIA એલાયન્સની બેઠક બોલાવવામાં આવી હતી. વિપક્ષી ગઠબંધનના નેતાઓએ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન નીતિશે સંયોજક બનવાની ના પાડી દીધી હતી. મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તેમને મીટિંગની માહિતી મળી તે પહેલા તેમના ઘણા કાર્યક્રમો પહેલાથી જ નક્કી હતા. આવી સ્થિતિમાં તે વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થયા ન હતા. બેઠકમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે X પર ટ્વિટ કર્યું હતું કે, મણિપુરમાં 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રામાં ગઠબંધન પક્ષોની ભાગીદારી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : UPથી ગંગાસાગર જઈ રહેલા 3 સાધુઓ પર ટોળાનો હુમલો, 12 લોકોની ધરપકડ

INDIA - NEWSCAPITALબંગાળમાં બેઠકોની વહેંચણીને લઈને સમસ્યા

મમતા બેનર્જીએ અન્ય કાર્યક્રમોને ટાંકીને મીટિંગમાં આવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે બેઠકોને લઈને જે સંઘર્ષ જોવા મળી રહ્યો છે તે કોઈથી છુપાયેલો નથી. ટીએમસી બંગાળમાં કોંગ્રેસને 2 જ સીટો આપવા પર અડગ છે, જ્યારે કોંગ્રેસ વધુ સીટો ઈચ્છે છે. આ જ કારણ છે કે બંગાળમાં મમતાની પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.