April 30, 2024

જામનગરમાં ઉપ્તપાદનની પેઢી ધરાવતા યુવાન સાથે 11 કરોડની છેતરપિંડી

સંજય વાઘેલા, જામનગરઃ શહેરમાં પારસ સોસાયટીમાં રહેતા અને હાપા માર્કેટ યાર્ડ નજીક જુદી-જુદી ખેત ઉત્પાદનની જણસની લે-વેચની પેઢી ધરાવતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચા નામના વેપારી યુવાનની રૂપિયા 11.18 લાખની છેતરપિંડી કરવા અંગે રાજકોટના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા હેમંત મોહનભાઈ દાવડા અને રવિ હેમંતભાઈ દાવડા નામના પિતા-પુત્ર તેમજ રાજકોટના પલક કિરીટભાઈ રૂપારેલ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પ્રોબેશનલ આઈપીએસ અધિકારી અજય કુમાર મીણાએ ગુનો નોંધ્યો છે અને તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે.

ફરિયાદી વેપારી હિરેનભાઈ દ્વારા આરોપીઓ સાથે જુદા જુદા સમયે ખેત ઉત્પાદનની જણસની વેચાણ અને ખરીદીના સોદાઓ કર્યા હતા. આ લે-વેચના સોદા દરમિયાન ફરિયાદી વેપારીએ આરોપી પિતા પુત્ર પાસેથી 11.18 કરોડની રકમ લેવાની બાકી હતી. જે પૈસાની ઉઘરાણી કરવા જતાં ઉપરોક્ત રકમ ચૂકવવી ના પડે તે માટે પિતા-પુત્રએ રાજકોટના પલક રૂપારેલની મદદથી રૂપિયા 5.28 કરોડના ખોટા આરટીજીએસ કર્યાના દસ્તાવેજો બનાવ્યા હતા અને વોટ્સએપ મારફતે તેની જુદાજુદા ત્રણ વખતની પહોંચ સાથેની બેંક મારફતે ચૂકવી હોવાની ખોટી વિગતો મોકલી હતી.

હકીકતમાં આવી કોઈ રકમ બેંક મારફતે મોકલાવી ન હોવા છતાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ઉપરોક્ત રકમનું ચૂકવણું કરી દીધાનું જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીના બેન્ક ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ ન હોવાથી આખરે તેઓએ પંચકોષી બી-ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.