May 5, 2024

‘INDIA’ને વધુ એક ફટકો, ફારુકની પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી અને પંજાબમાં ભગવંત માન બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં INDIA જૂથને વધુ એક ફટકો પડ્યો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની તમામ 5 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ફારુક અબ્દુલ્લા INDIA ગઠબંધનની શરૂઆતથી જ બેઠકોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અબ્દુલ્લાના અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. AAP અને TMC INDIA ગઠબંધનને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી દીધી હોતો. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી હોય તેવું લાગતું નથી. આવી સ્થિતિમાં ફારુક અબ્દુલ્લાનો આ નિર્ણય INDIA ગઠબંધનને વધુ નબળો પાડશે. બીજી બાજુ ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે વાત કરતા તેમણે કહ્યું કે અમને આશા છે કે તમામ પક્ષો તેના પર સહમત થશે. લોકોને ખબર હોવી જોઈએ કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. આશા છે કે ચૂંટણી પહેલા આ તમામની જાહેરાત થઈ જશે.

દિલ્હીમાં કોંગ્રેસ પાસે માત્ર એક સીટ છે
આમ આદમી પાર્ટીની PACની બેઠક બાદ દિલ્હીમાં કોંગ્રેસને એક સીટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. AAP સાંસદ અને સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું કે અમે દિલ્હીમાં કોંગ્રેસને 1 સીટ ઓફર કરી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટી 6 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. INDIA જૂથમાં કોંગ્રેસની સીટ વહેંચણીમાં વિલંબ અંગે AAP સાંસદ અને સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું, “જ્યારે અમે ગઠબંધનમાં આવ્યા ત્યારે અમે અમારા પોતાના હિત વિશે વિચારવાનો ઇરાદો નહોતો રાખ્યો. અમે પ્રામાણિકતા અને સમર્પણ સાથે ગઠબંધન સાથે છીએ. પરંતુ INDIA જૂથનો ઉદ્દેશ્ય ચૂંટણી લડવાનો અને દેશને નવો વિકલ્પ આપવાનો છે. સમયસર ઉમેદવારોની જાહેરાત કરવી અને પ્રચારની રણનીતિ નક્કી કરવી એ પણ ગઠબંધનમાં સામેલ છે.

યુપી, બંગાળ અને આસામ પણ ગઠબંધમાં નહીં જોડાય?
તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ 80 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાની વાત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે INDIA ગઠબંધન કેટલો સમય ટકી શકે છે.