May 17, 2024

પંચમહાલ લોકસભા બેઠકનો ઈતિહાસ, જાણો કયા મતદારો બને છે નિર્ણાયક

પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી બહુમૂલક વસ્તી ધરાવતો વિસ્તાર.

પ્રિતશ પ્રજાપતિ, પંચમહાલ

Lok Sabha Election 2024: ભારતની આઝાદી પછી વર્ષ 1952થી 1962 સુધી પંચમહાલ તથા બરોડા ઈસ્ટ સુધીની સીટ ગણાતી હતી. જેમાં રુપજી પરમાર, માણેકલાલ મગનલાલ ગાંધી, ડી.જે.નાઈક કોંગ્રેસ પાર્ટીમાંથી જીતીને સાંસદ બન્યા હતા. પંચમહાલ લોકસભા અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે. એવુ કહેવાય છે કે, પંચમહાલ બેઠક પર ત્રણ જિલ્લાની વિધાનસભાનો સમાવેશ હોવાથી આ બેઠક જીતવા માટે ઉમેદવારની ત્રણેય જીલ્લાના મતદારો પર પકડ હોવી જરૂરી છે.

મધ્ય ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે પંચમહાલ બેઠક. પંચમહાલ એટલે વડોદરાની પૂર્વમાં આવેલો આદિવાસી અને ઓબીસી બહુમૂલક વસ્તી ધરાવતો વિસ્તાર. પહેલા પંચમહાલ લોકસભા બેઠક એ ગોધરા બેઠક તરીકે જાણીતી હતી.

2008માં નવા સીમાંકન બાદ પંચમહાલ બેઠક નવી અસ્તિત્વમાં આવી.

ફરવા લાયક સ્થળો તેનો કેટલો વિકાસ
બાલાશિનોરમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો પહેલો ડાયનાસોર અને ફોસિલ પાર્ક ખૂબ જ જલદી સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યો છે. રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ પાર્કની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાતના પર્યટન વિભાગે 128 એકરમાં આ પાર્ક બનાવ્યો છે. 36 વર્ષ પહેલાં અહીં ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. ડાયનાસોરના 6.5 કરોડ વર્ષના ઇતિહાસને બતાવવા માટે આ દેશનું પહેલું આધુનિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અહીં ડાયનાસોરની રહેણીકરણી, ખાણી પીણી અને તેના જીવન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો: સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે

બાલાશિનોરથી 11 કિમી દૂર રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ (ડાયનાસોર નિષ્ણાત) વર્ષોથી રિસર્ચ કરે છે. પેલિયોન્ટોલોજિસ્ટનું માનવું છે કે ડાયનાસોરની લગભગ સાત પ્રજાતિઓ અહીં રહે છે. અહીં ડાયનાસોરના 10,000 ઇંડાંના અવશેષ મળી આવ્યા હતા. આ દુનિયાનું સૌથી સુર‌િક્ષત સ્થાન છે. અહીં આટલી મોટી માત્રામાં ઇંડાંના અવશેષ મળ્યા હતા. તેને દુનિયામાં ડાયનાસોરનું સૌથી મોટું જીવાસ્મિ સ્થળ માનવામાં આવે છે. વર્ષ 2003માં ખોદકામ દરમિયાન કેટલીક નવી પ્રજાતિઓ પણ મળી આવી હતી. જે ફરવા લાયક સ્થળ છે.

ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી હતી. જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઑટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પહેલી વાર ચૂંટણી થઈ હતી. પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત 15 લાખ 66 હજાર 667 મતદાતાઓ આવે છે. જેમાં 7 લાખ 56 હજાર 424 મહિલા મતદાતા અને 8 લાખ 20 હજાર 230 પૂરૂષ મતદાતાઓ છે.

આર્થિક વિકાસ કયા ઉદ્યોગો પર આધારિત છે
જિલ્લામાં રોજગારીનો અભાવ છે. પશુપાલન અને ખેતી પર આધારિત જીવન જીવી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં કડાણા અને ભાદર ડેમ હોવા છતાં સિંચાઇ માટે પાણીનો અભાવ છે.

આદિવાસીઓ મોટા ભાગે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. જેની પાસે જમીન ઓછી હોય તો તે સૌરાષ્ટ્રમાંને શહેરો તરફ પ્રયાણ કરવું પડે છે. આ જિલ્લામાં રોજગારી માટે કોઈ સુવિધા ન હોવાથી આદિવાસીઓને બીજા શહેરોમાં કડિયા કામ, ખેતી કામ કરવા માટે બહાર જવું પડે છે.

કેટલી રોજગારી કેટલો સાક્ષરતા દર
પંચમહાલ જિલ્લાનો સાક્ષરતા દર સ્ત્રીઓનો 60.9 અને પુરુષ 79.4 આમ કુલ 72.32 સાક્ષરતા દર છે.

ઉમેદવારોની પ્રોફાઈલ

કોંગ્રેસના ઉમેદવાર – ગુલાબસિંહ ચૌહાણ
ભાજપ પક્ષ દ્વારા અગાઉથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધો છે. ત્યારે પંચમહાલ લોકસભા સીટ પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને કોગ્રેસ હાઇકમાન્ડે ટિકિટ આપી છે. ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. ઓબીસી સમાજના ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના વિધાનસભા સીટ પરથી 26,700 મતથી વિજય થઈ ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો: 16 વર્ષની મૂકબધિર દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા

ભાજપના ઉમેદવાર – રાજપાલ સિંહ જાદવ
ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ માટે લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય એ હાથ ના કર્યા હૈયે વાગ્યા હોવાની ચર્ચાઓ પુનઃ તેજ બની છે. રાજપાલસિંહ જાદવ મુળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે. અભ્યાસમાં તેમણે બીએ કરેલ છે. 1998ની સાલમાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘમાં જોડાયા બાદ 2000 થી ભાજપમાં તેઓ સક્રિય છે. આર્ટસ કોલેજના જીએસ સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર રાજપાલ સિંહ વર્ષ 2001માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા હતા0. 2017માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી જ્યારે 2019માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા.

વર્ષ 2021થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપે નિર્ણય કરી તેમને ટિકિટ ફાળવતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાજપાલસિંહ માત્ર 41 વર્ષના છે જેઓ લોકસભાની સીધી ચૂંટણી લડશે.

જે તે બેઠકની જનરલ માહિતી (કેટલી વિધાનસભામાં કંઈ કંઈ વિધાનસભા)

આ લોકસભા 7 વિધાનસભાઓ આવેલી છે.
1. ઠાસરા
2. બાલાસીનોર
3. શહેરા
4. મોરવા હડફ
5. ગોધરા
6. કાલોલ
7. લુણાવાડા

કેટલી વિધાનસભામાં કોની સત્તા
વિધાનસભાની આ 7 બેઠકમાંથી કુલ 6 બેઠક પર ભાજપના ધારાસભ્ય નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે 1 બેઠક લુણાવાડા પર કોંગ્રેસના ગુલાબ સિંહ ચૌહાણ નેતૃત્વ કરી રહ્યા છે. જોકે કોંગ્રેસે ગુલાબસિંહને પંચમહાલ બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.

બેઠકનું જાતિગત ગણિત
ચુંટણીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વ બહુ આપવામાં આવે છે. પંચમહાલ બેઠક પર 10 ટકા મુસ્લિમ મતો છે. જયારે ગોધરા, લુણાવાડા સહિતના શહેરોમાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે અને મતબેંક કોંગ્રેસ છે. લગભગ 10 ટકા જેટલા મતદારો માલધારી-ભરવાડ સમાજના છે. આ ઉપરાંત 8 ટકા મતદારો સવર્ણ સમાજના છે. પંચમહાલ જિલ્લો વૈષ્ણવ સંપ્રદાયનું મોટું કેન્દ્ર છે. વૈષ્ણવ વાણિયા અને બ્રાહ્મણોની વસતી અહીં નોંધપાત્ર છે. 7 ટકા જેટલા મતદારો પટેલ સમાજના છે અને તેમાં કાછિયા પટેલોની સંખ્યા વધારે છે. 10 ટકા જેટલા આદિવાસી મતદારો છે . બાકી બીજી જ્ઞાતિઓના મતદારો છે.

કયા મતદારો નિર્ણાયક
ક્ષત્રિય, ઠાકોર, રાજપૂત અને આદિવાસીઓ આ લોકસભામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

કેટલા મતદારો
પુરુષ મતદાર: 9,63,535
મહિલા મતદાર: 9,26,830
અન્ય મતદાર: 30
18,89,945 કુલ મતદારો છે.

છેલ્લી પાંચ ટર્મનું પરિણામ
1967થી 1971 સુધી સ્વતંત્ર પાર્ટીના પીલુમોદી બે વખત સાંસદ તરીકે ચૂંટાઈને જીત મેળવી હતી.
1977-1980 માં હિતેન્દ્ર દેસાઈ આ બેઠક પર ચૂંટાયા હતા.
1980-1984 દરમિયાન કોંગ્રેસ પક્ષે જીત મેળવી હતી. મહારાઉલજી જયદિપસિંહ બે ટર્મ ચૂંટાયા હતા.
1989 જનતાદળમાંથી પટેલ શાંતિલાલ પુરુષોત્તમદાસ વિજેતા બન્યા હતા.
1991માં ભાજપના શંકરસિંહ વાઘેલાએ જનતાદળના શાંતિલાલ પટેલને હરાવ્યા હતા.
1996માં જનતાદળનું કોંગ્રેસમાં વિલિનીકરણ થતાં કોંગ્રેસના શાંતિલાલ પટેલે ભાજપના શંકરસિંહ વાઘેલાને હરાવ્યા હતા.
1999-2009 બે ટર્મ ભાજપના સોંલકી ભુપેન્દ્રસિંહે પ્રભાતસિંહ ચૂંટાયા હતા.
2009-2014 ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ પણ બે વખત જીત્યા છે.

આમ પાછલા બે દાયકાથી પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપનો દબદબો યથાવત છે. આ બેઠક પર અત્યાર સુધીમાં લોકસભા ગોધરા બેઠક પર, સ્વતંત્ર પક્ષ- 2, જનતાદળ-1 ,કોંગ્રેસ-6, ભાજપ-5 વખત વિજેતા રહ્યા હતા.

કેટલા વિકાસના કાર્યો થયા? કેટલા બાકી?
પંચમહાલ જિલ્લામાં આદિવાસી વસ્તીનું પ્રમાણ અધિક હોવાથી તે ‘આદિવાસી જિલ્લો’ ગણાય છે. અહીંના લોકો અન્ય શહેરો તરફ જાય છે. ઘણા લોકો ખેતી કરે છે. ત્યારે રોજીરોટી અને રોજગાર માટે જિલ્લામાં વેપાર ઉદ્યોગો વસાવવા GIDC છે, પરંતુ હાલ કોઈ રોજી રોજગારનો સ્ત્રોત કોઈ જિલ્લામાં નથી. બીજી બાજુ ગોધરામાં મેડિકલ કોલેજ, યુનિવર્સિટી મળી છે. પંચમહાલમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને એક ગામથી બીજા ગામમા સુધી આવવા જવા માટે ખાનગી વાહનમાં જવું પડે છે.

ભાદર ડેમ અને મહીસાગર કડાણા ડેમ એમ બે ડેમ હોવા છતાં લોકોને ખેતી માટે સિંચાઇના પાણીની સુવિધા નથી. તેમજ ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે. જે હજી ઉકેલ આવ્યો નથી. ગોધરામાં આરોગ્યની સેવા કથળેલી છે. સિટી સ્કેન માટે ગ્રાન્ટ ફાળવાઇ ગઈ છે તેમ છતાં હજી સુધી સિટી સ્કેન આવ્યું નથી. તેમજ અન્ય આરોગ્યને લગતાં સંસાધનોની ઘટ છે.

લોકોની મુખ્ય સમસ્યાઓ

– ઔદ્યાગિક વિકાસ નહિવત હોવાથી રોજગારીની સમસ્યા
– રોજગારી માટે સ્થળાંતર
– પીવાના પાણીની સમસ્યા
– અંતરિયાળ ગામોમાં રસ્તાની સમસ્યા
– મોબાઈલ કનેક્ટીવીટીનો પ્રશ્ન
– શાળાના બિસ્માર મકોનાની સમસ્યા
– આદિવાસી વિસ્તારોમાં રોજગાર, શિક્ષણ અને પાયાની જરૂરિયાતોનો પ્રશ્ન
– અહી સુગર મીલ બનાવવાની યોજના વર્ષો પહેલા આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલમાં તે ખોરંભે ચઢી જવા પામ્યુ છે.
– ખાનપુર તાલુકામાં આદિવાસીઓને દાખલાનો પ્રશ્નો પણ ઉકેલાયો નથી જે સરકાર સામે બહુ વીકટ પ્રશ્ન બનશે તેમ જણાઇ રહયુ છે.
– આદુ-લસણની પેસ્ટ બનાવવાનો મોટો પ્રોજેકટ અહી શરુ થનાર હતો પરંતુ તે પણ ખોરંભે ચઢી જવા પામ્યો છે.
– મહી સાગર જિલ્લામાં રેલવે કનેક્ટીવીટી સમસ્યા છે.
– મહીસાગર જિલ્લામાં મેડીકલ કોલેજની માંગ સંતષાઈ નથી.