May 5, 2024

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું

Arvind Kejriwal Health: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. માહિતી અનુસાર, ઇડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું શુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું એ ખૂબ જ ખતરનાક છે.

આ પહેલા બુધવારે સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તે મંગળવારે સાંજે જેલમાં પોતાના પતિને મળવા ગઈ હતી.તેને ડાયાબિટીસ છે, સુગર લેવલ બરાબર નથી, પણ તેનો નિશ્ચય મજબૂત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ખૂબ જ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તેમને લાંબા આયુષ્ય, આરોગ્ય અને સફળતાની શુભેચ્છા. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે. પરંતુ, આત્મા તમારા બધાની વચ્ચે છે. જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે મને તમારી આસપાસ અનુભવશો.

આ પણ વાંચો: CM કાલે કોર્ટમાં જણાવશે કે ક્યાં છે દારૂ કૌભાંડના પૈસા, સુનીતા કેજરીવાલનો સનસનીખેજ દાવો

અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કરશે મોટો ખુલાસો: સુનીતા કેજરીવાલ
આ સિવાય સુનીતા કેજરીવાલે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિવિધ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી અને તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ‘મોટો ખુલાસો’ કરશે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

સુનીતા કેજરીવાલે કહ્યું કે તેમના પતિ 28મી માર્ચે સત્ય કહેશે અને પુરાવા પણ રજૂ કરશે. ‘બે વર્ષની તપાસ છતાં, ED પુરાવાનો એક પૈસો પણ શોધી શક્યું નથી અને તેઓએ મુખ્યમંત્રીના આવાસ પર દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા હતા.’ વધુમાં સુનિતા કેજરીવાલે કહ્યું, ‘મારા પતિ કસ્ટડીમાં હતા ત્યારે જળ મંત્રી આતિશીને સૂચનાઓ આપી હતી, આ અંગે કેન્દ્રને સમસ્યા હતી. શું તેઓ દિલ્હીને નષ્ટ કરવા માગે છે? તેણે કહ્યું કે તેના પતિ આ મુદ્દે ખૂબ જ દુઃખી છે.