May 5, 2024

બારડોલી: વ્યારામાં લોકસભાના 2000 મત માંગવાની ભાજપ-કોગ્રેસની હિંમત નથી?: રોમેલ સુતરિયા

બારડોલી: વ્યારા શંકર ફળિયા ખાતે વરસાદમાં કરવામાં આવેલા અમાનવીય ડિમોલેશન બાદ બેઘર બનેલા 70 જેટલા પરિવારો અને અન્ય નાગરિકો જેમના ઘરો હજું તોડવાના બાકી છે તે સમગ્ર મામલે લોકચર્ચા મુજબ ‘એક આવાજ એક મોર્ચા લોકસંગઠન’ જ્યારથી આ પરિવારોના પડખે આવ્યું તે પછી સ્થાનિકોની આંશિક હેરાનગતિ ઓછી થઈ હતી.

તાજેતરમાં બારડોલી લોકસભાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના પ્રચારની શરુઆત અને જીલ્લા મથક વ્યારાને અડીને આવેલા શંકર ફળિયામાં એક પણ ઉમેદવારોએ પોતાના પ્રચારની કામગીરી કરી નથી. બેઘર પરિવારોની લડતનું નેત્રુત્વ કરી રહેલ રોમેલ સુતરિયા તેમજ વ્યારાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નીતિન પ્રધાન દ્વારા બેઘર પરિવારોની આકસ્મિક મુલાકાત કરી હતી. તે દરમિયાન આ ચોંકાવનારી બાબત સામે આવી છે.

આ બાબતે રોમેલ સુતરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ખુબ જ ગંભીર બાબત છે કે આખો દેશ જ્યારે લોકશાહીનું પર્વ ઊજવી રહ્યું હોય અને પક્ષ-વિપક્ષના ઉમેદવારો માટે એક-એક વોટ મહત્વનો હોય છે ત્યારે 2000 જેટલા મત માંગવા માટે એક પણ ઉમેદવાર પહોંચ્યા નથી. સત્તા પક્ષ ના પહોંચે તે તો સમજી શકીએ છીએ, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર પણ આ બેઘર પરિવારો પાસે મત માંગવા હજુ સુધી આવ્યા નથી. ‘એક આવાજ -એક મોર્ચા’ સાથે જોડાયેલા શંકર ફળિયાના આગેવાનોને સાથે રાખી આવનારા દિવસોમાં બંને પક્ષોના આગેવાનોને આ વિષય ઉપર ગભરાયા વગર શંકર ફળિયામાં આવી પ્રચાર કરવા આમંત્રણ પાઠવવા તેમજ આ બેઘર પરિવારોના પ્રશ્નો બાબતે પોતાની સમજ જાહેર કરવા માટે રુબરુ મુલાકાત કરવાના છીએ.

બારડોલી લોકસભામાં 2000થી વધુ તાપી જીલ્લાના વડા મથકના મધ્યના જ અધધધ મત હોવા છતાં , ચુંટણી બહિષ્કાર કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાતો નાગરિકોએ કરી નથી બંધારણીય મર્યાદામાં લડત ચાલે છે તેમ છતાં એક પણ ઉમેદવાર દ્વારા કામગીરી કરવામાં નથી આવી તે બાબત સંપુર્ણ બારડોલી લોકસભામાં ચર્ચાનો વિષય બન્યો છે.આવનારા દિવસોમાં હવે જોવાનું તે રહે છે કે આ 2000 મત મેળવવા ભાજપ-કોંગ્રેસ કયાં પક્ષના ઉમેદવાર નાગરિકો વચ્ચે જાય છે કે રોમેલ સુતરિયા એ પુછેલા પ્રશ્નનો જવાબ હાં હશે.