May 4, 2024

માફિયા મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટમાં મોટો ખુલાસો, શું ઝેરથી થયું હતું મોત?

Mukhtar Ansari Death Reason: માફિયા મુખ્તાર અંસારીના મોતને લઇને અનેક પ્રશ્નો થઇ રહ્યા હતા કે શું અંસારીનું મૃત્યુ જેલ પ્રશાસન દ્વારા ધીમા ઝેરના કારણે થયું હતું? આ તમામ પ્રશ્નો પરથી પડદો હટી ગયો છે. મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ પ્રશાસને વિસેરાને સાચવીને તપાસ માટે મોકલી આપ્યો હતો. જેના રિપોર્ટમાં ઘણું બધું બહાર આવ્યું છે. વિસેરા રિપોર્ટમાં તમામ આરોપોનો જવાબ જાણવા મળશે.

જો સૂત્રોનું માનીએ તો, મુખ્તાર અંસારીના મૃત્યુના વિસેરા રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે તેમનું મૃત્યુ ઝેરના કારણે થયું છે. પોલીસે મુખ્તાર અંસારીના વિસેરા તપાસનો રિપોર્ટ ન્યાયિક ટીમને મોકલી આપ્યો છે. હવે તપાસ ટીમ સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરશે. અહેવાલો અનુસાર આ અહેવાલમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે મુખ્તારને મૃત્યુ પહેલા ઝેર આપવામાં આવ્યું હતું.

મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું
મુખ્તાર અંસારી યુપીની બાંદા જેલમાં બંધ હતા. જ્યાં 28 માર્ચે તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મુખ્તારને જેલમાંથી બેભાન અવસ્થામાં બાંદા મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મુખ્તારના મૃત્યુ બાદ પરિવારે જેલ પ્રશાસન પર તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્તારના પરિવારના આરોપો બાદ આ મામલે ભારે રાજનીતિ થઈ હતી. સમાજવાદી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ આ મામલે તપાસની માંગ કરી હતી. મુખ્તારના મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેના પરિવારના સભ્યોના આક્ષેપોને ધ્યાનમાં રાખીને મુખ્તારના વિસેરાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

મુખ્તાર અંસારીને તેમના મૂળ ગામ મોહમ્મદબાદના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. 30 માર્ચે મુખ્તારને તેના માતા-પિતાની કબરો પાસે દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.