May 3, 2024

ચેતી જજો! બાળકને વધુ સમય ડાયપર પહેરાવી રાખવાની ભૂલ પડશે ભારે

Health Care Tips: આજકાલ ડાયપરનો ઉપયોગ વધ્યો છે. કેમ કે, વારંવાર બાળકના કપડાં બદલવાની સરખામણીમાં ડાયપર પહેરાવવું અને બદલવું સહેલું છે. બીજું કે, ડાયપર પહેરી રાખવાના કારણે બાળકનાં કપડાં ભીનાં થતાં નથી. ડાયપરના ઉપયોગનું ત્રીજું કારણ એ છે કે, બાળકની બેડશીટ પણ ભીની થતી નથી. એટલે એને વારંવાર ચેન્જ કરવાની ઝંઝટ રહેતી નથી. આ જ કારણે અનેક મહિલાઓ પોતાનાં બાળકને જન્મ આપવાની સાથે જ એને ડાયપર પહેરાવવાનું શરૂ કરી દે છે. જોકે, તમારી આ સુવિધા બાળક માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

છેલ્લાં બે દશકમાં ડાયપર્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને ન્યૂક્લિયર ફેમિલી એટલે કે, પતિ, પત્ની અને બાળકો જ હોય એવા પરિવારોમાં ડાયપર્સનો ઉપયોગ વધુ હોય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, નવજાત શિશુને સતત ડાયપર પહેરાવીને માતા-પિતા બાળકની પેશાબ કરવાની ઇચ્છાને દબાવી રહ્યા છે. જેની ખૂબ જ ખરાબ અસર થાય છે. ડાયપરની અનેક સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. જોકે, એક રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

AIIMS-દિલ્હી દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર દર 300માંથી એક બાળકના બોડીમાં યુરીનનો માર્ગ સીધો નથી હોતો. સર્જરી દ્વારા આવાં બાળકોના પેશાબના માર્ગને સીધો ન કરવામાં તેમનો પેશાબ રોકાઈ શકે છે. જેની સીધી અસર બાળકની કિડની પર પડે છે. જૂના જમાનામાં બાળકોને સુતરાઉ કે મુલાયમ કાપડની લંગોટ પહેરાવવામાં આવતી હતી. ધોઈને એનો ફરી ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, ડિસ્પોઝેબલ ડાયપરમાં અનેક ઝેરી કેમિકલ્સ હોય છે. જેનાથી ફોલ્લીઓ અને અસ્થમા થઈ શકે છે કે પછી લિવરને પણ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: ટી-શર્ટ ઊંચી કરવા મામલે કુલપતિનો મોટો ખુલાસો, કહ્યું- આવી કોઈ ઘટના નથી બની

હૉસ્પિટલ હોય કે ઘર, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ બાળક માટે ડાયપર્સ મળે છે. અનેક મોટી કંપનીઓ આ માર્કેટમાં છે. ડાયપર્સ પહેરાવવું માતા-પિતા માટે સુવિધાજનક હોય શકે છે. જોકે, એનાથી બાળકોના આરોગ્ય પર ખૂબ જ હાનિકારક અસરો થાય છે. જેનાથી મેલ ઇનફર્ટિલિટી અને કેન્સરનું થઇ શકે છે. ડાયપર ટેસ્ટિક્યુલર કેન્સરનું પણ કારણ બની શકે છે. અમેરિકાની પીડિયાટ્રિક્સ જર્નલના તારણમાં સામે આવ્યું છે કે, ડાયપરને દર બેથી ત્રણ કલાકે બદલવું જોઈએ.

આ સિવાય ડાયપર ભીનું હોય તો એને ચેન્જ કરતા રહેવું જોઈએ. ડાયપરને જરૂર મુજબ ચેન્જ ના કરવામાં આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટી દ્વારા પણ આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ 13થી 19 મહિનાની ઉંમરનાં 60 બાળકો પર પરીક્ષણ કર્યું હતું. જેમા બાળકોને બે ગ્રૂપ્સમાં વહેંચવામાં આવ્યાં છે. એક ગ્રૂપનાં બાળકોને ડાયપર્સ પહેરાવાયાં હતાં. જ્યારે બીજા ગ્રૂપનાં બાળકોને ડાયપર્સ નહોતાં પહેરાવાયાં. ડાયપર પહેરાવવાના કારણે બાળકોની ચાલ પર અસર પડે છે. ડાયપરમાં બાળકોના બે પગની વચ્ચે વધારે અંતર રહે છે.

ડાયપરના કારણે થતી સાઇડ ઇફેક્ટ્સનું લિસ્ટ ખાસ્સું લાંબુ છે. અમે તમને કેટલીક વધુ સાઇડ ઇફેક્ટ્સ વિશે જણાવીશું. મૂત્રમાર્ગમાં ચેપનું જોખમ વધારે થાય છે. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સના કેસમાં વધારો જોવા મળે છે. તેમજ ડાયપરમાં રહેલા રંગો, સુગંધ અને અન્ય કેમિકલ્સથી એલર્જી પણ થાય છે. શરીરમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધારે હોય છે.

બાળકોની સ્કિન ખૂબ સેન્સિટિવ હોય છે. લાંબા સમય સુધી ભીના અને ગંદા ડાયપરમાં રહેવાના કારણે ડાયપરમાં બેક્ટેરિયા જન્મે છે. જેના કારણે સ્કિન પર ફોલ્લીઓ થાય છે. એટલા માટે જ બાળકોની સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. હવે, અમે આંકડાઓથી જણાવીશું કે ડાયપર ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે. જેમા ભારતમાં ડાયપર ઇન્ડસ્ટ્રી 10 હજાર કરોડની છે તો દુનિયામાં ડાયપર ઇન્ડસ્ટ્રી લગભગ 7 લાખ કરોડની છે અને દર વર્ષે પાંચ ટકાનો વધારો જોવા મળે છે.

ડાયપરના કારણે બાળકોને ચોમાસા અને શિયાળાની સરખામણીમાં ઉનાળામાં વધુ પ્રોબ્લેમ્સ થાય છે. ઉનાળામાં ખૂબ જ ગરમી અને પરસેવાના કારણે ઇન્ફેક્શનનું જોખમ અનેક ગણું વધી જાય છે. હવે, આ સીઝનમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. ત્વચા સુકાઈ જાય એ પછી જ ફરી ડાયપર પહેરાવો.ઉ નાળામાં વારંવાર ડાયપર બદલો. ડાયપર પહેરાવતી વખતે પેરેન્ટના હાથ સાફ હોવા જરૂરી છે. જૂનું ડાયપર ફેંક્યા બાદ પણ હાથ સાફ કરવા જરૂરી છે. તો 24 કલાક બાળકને ડાયપરમાં રાખવું જરાય યોગ્ય નથી. આ સિવાય ડાયપરનું મટિરિયલ મુલાયમ હોવું જોઈએ.

દુનિયાભરના પીડિયાટ્રિક્સ સલાહ આપે છે કે, સામાન્ય રીતે દર બે કલાકે બાળકોનું ડાયપર બદલવું જોઈએ. ભૂલકાંની બાબતમાં કોઈ પણ ભૂલ ના કરવી જોઈએ. ડાયપર્સના કારણે પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન થાય છે. ડિસ્પોઝેબલ ડાયપરને નષ્ટ થતાં ખાસ્સો સમય લાગે છે. જેના કારણે જમીનને નુકસાન થાય છે. એટલે જ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ડાયપર્સની પસંદગી કરવી જોઈએ.