May 4, 2024

TMC નેતાના ઘરે તપાસમાં માટે પહોંચેલી NIAની ટીમ પર હુમલો

Bhupatinagar Blast Case: પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગરમાં આજે સવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની સૂચનાથી NIAની ટીમ ભૂપતિનગર બ્લાસ્ટ કેસની તપાસ માટે આવી હતી. જેમાં આ અધિકારીઓ 2022 બ્લાસ્ટ કેસની તપાસ માટે તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે પહોંચ્યા હતા. ત્યારે પૂછપરછ માટે લાવતી વખતે કેન્દ્રીય એજન્સીના વાહનની બારીઓ તોડી નાંખી હતી. તેના પર NIAએ દાવો કર્યો કે, પૂછપરછ દરમિયાન તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તેમને સુરક્ષા પૂરી પાડે તે પહેલાં જ NIA અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે, જો લેખિત ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે NIAની ટીમ ત્યાં ગઈ હતી, જ્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હવે UPIથી રોકડા પૈસા જમા કરી શકાશે, RBIએ કરી મોટી જાહેરાત

શું છે મામલો?
નોંધનીય છે કે, 2022માં પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગરમાં વિસ્ફોટ થયો હતો. જેની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટમાં એક મકાન ધરાશાયી થયું અને ત્રણ લોકોના પણ મોત થયા હતા. આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓની પૂછપરછ થવાની છે. જેમને ગયા શનિવારે હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ નેતાઓ ફરી એકવાર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. કેન્દ્રીય તપાસ એજન્સી આ આઠ નેતાઓને બીજી કોઈ તારીખે ફરીથી સમન્સ જારી કરી શકે છે.

આ મામલે TMC-BJP આમનેસામને
ટીએમસી નેતા કુણાલ ઘોષે આ ઘટનાના સંબંધમાં ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે NIAની તપાસ પાછળ ભાજપના નેતાઓનો હાથ છે. તેમણે દાવો કર્યો કે ભાજપે જ પૂર્વ મેદિનીપુરના TMC નેતાઓની યાદી NIAને આપી છે. એજન્સી તેમના ઘરો પર દરોડા પાડીને તેમની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે.