May 2, 2024

અમિત શાહને મળ્યા બાદ રાજ ઠાકરે કરશે મોટી જાહેરાત…!

MNS BJP Alliance: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે એનડીએમાં જોડાવાની અટકળો સાચી સાબિત થતી જોવા મળી રહી છે. માહિતી અનુસાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સાથે ગઠબંધનને લઈને ભાજપની વાતચીતના અંતિમ તબક્કામાં છે. દિલ્હીના પ્રવાસે ગયેલા રાજ ઠાકરે સીટ વહેંચણી અંગે વાત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા છે. અગાઉ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે દિલ્હીની એક હોટલમાં MNS ચીફની સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે વિનોદ તાવડે સાથેની મુલાકાત દરમિયાન વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી છે. ત્યારબાદ રાજ ઠાકરે તેમને મળવા માટે ભાજપના ટોચના નેતા અમિત શાહના નિવાસસ્થાને ગયા છે.

MNS પ્રમુખ રાજ ઠાકરે સોમવારે રાત્રે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચી ગયા હતા. નોંધનીય છે કે મહારાષ્ટ્ર ભાજપ કોર કમિટીની બેઠક આજે દિલ્હીમાં યોજાશે. આ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે દિલ્હી પહોંચી ગયા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા બાદ કહ્યું કે, ‘મને હજુ સુધી ખબર નથી કે મારો કાર્યક્રમ શું છે. મને હમણાં જ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું, જોઇએ આગળ શું થાય છે.’ બીજી બાજુ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ અને મનસે વચ્ચે ગઠબંધન થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ ઠાકરે દિલ્હી જશે અને ભાજપના ટોચના નેતાઓને મળશે. તેથી આજે જ ભાજપ અને મનસેના ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.

કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ MNS માટે છોડશે. જ્યાંથી રાજ ઠાકરેના વિશ્વાસુ અને મુંબઈના રાજકારણમાં જાણીતા ચહેરા બાલા નંદગાંવકરને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. વાસ્તવમાં દર વખતની જેમ આ વખતે પણ ઘણા લોકોને લાગ્યું કે ભાજપ-મનસે ગઠબંધનની વાતો અધવચ્ચે જ અટકી જશે. જો કે આ વખતે રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી છે. તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે એનડીએ ગઠબંધનમાં સામેલ થવાથી મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂતી મળવાની આશા છે. રાજ ઠાકરે શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના ભત્રીજા છે અને તેમની સ્ટાઇલમાં ફાયર બ્રાન્ડ રાજકારણ કરવા માટે જાણીતા છે.