May 7, 2024

કચ્છમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં આજે સવારે 9.12 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ગાંધીનગર: 2001ના ભૂકંપ બાદ કચ્છમાં નાના નાના આંચકાઓ શરુ થયાં અને છેલ્લા 23 વર્ષથી અહીં નાના મોટા આંચકા આવ્યાં કરે છે. તેનાથી લોકોમાં પણ એવો ડર છે કે ક્યાંક 2001નો જેવો ભૂકંપ ફરી આવી ન જાય. આજે પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.9ની નોંધાઇ છે. ત્યાં જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિમી દૂર નોંધાયુ છે. કચ્છમાં આજે સવારે 9.12 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જે બાદ લોકો ડરના માર્યા ઘરથી બહાર દોડી આવ્યા હતા. જોકે આ ભૂકંપના આંચકા દરમિયાન કોઇ જાનહાનિ થઇ નથી.

26 જાન્યુઆરી 2001ના દિવસે 6.9ની તીવ્રતાનો મોટો ભૂકંપ કચ્છમાં ત્રાટક્યો હતો. એ દિવસે કચ્છમાં હજારો લોકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઇએ કે, 2001ના ભૂકંપ બાદ કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે. પરંતુ કદાચ પહેલી વાર નાના આંચકાઓને સારા ગણવામાં આવ્યાં છે. ભૂકંપના નાના આંચકા પણ મોટા ભૂકંપને ટાળવામાં મદદ કરી રહ્યાં છે તેવો દાવો એક વૈજ્ઞાનિકે કર્યો છે.

આ પણ વાંચો: મનસુખ સુવાગીયાએ પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં

ઉલ્લેખનિય છે કે, કચ્છમાં જે 6 ફોલ્ટલાઈન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે. કચ્છમાં છેલ્લા 23 વર્ષથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 6 ફોલ્ટલાઈન આવેલી છે. જો કે ક્ચ્છમાં જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભુકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહિ પણ સતર્ક રહેવાની જરૂર હોય છે.