October 28, 2024

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં સેના પર ફાયરિંગ; જવાબી કાર્યવાહીમાં 3 આતંકી ઠાર

Terrorists Attack: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો હાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

સુરક્ષા દળોએ ત્રણને માર્યા
જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં સોમવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અહીંના અધિકારીઓએ જણાવ્યું કે અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે આતંકવાદીઓએ સવારે સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ તરત જ જવાબ આપ્યો અને વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહ મળી આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ પહેલા મંદિરમાં ઘૂસીને એક મૂર્તિને તોડી પાડી હતી. પરંતુ ત્યાં હાજર લોકોને કોઈ નુકસાન થયું ન હતું. ત્યાંથી ભાગતી વખતે આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુના એસએસપીએ કહ્યું કે જમ્મુ જિલ્લાના અખનૂરમાં આસન મંદિર પાસે ત્રણ આતંકવાદીઓ જોવા મળ્યા હોવાનું માનવામાં આવે છે. તેઓએ આર્મી એમ્બ્યુલન્સ પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

એલઓસી પર પાલનવાલા સેક્ટરના સરહદી ગામ બટાલમાં સ્થિત શિવ આસન મંદિરમાં સવારે લગભગ 7.15 વાગ્યે ત્રણ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. જેઓ આર્મી યુનિફોર્મમાં હતા. ત્રણેય હથિયારોથી સજ્જ હતા. મંદિરમાં ટ્યુશન માટે આવેલા ત્રણ વિદ્યાર્થીઓને આતંકવાદીઓએ પકડી લીધા હતા, પરંતુ થોડા સમય પછી તેઓએ તેને છોડી દીધા. ટ્યુશન સેન્ટર ચલાવતા માસ્ટર મનોજ કુમારે પણ ત્રણેય આતંકીઓને જોયા હતા. તેણે કહ્યું કે તે મંદિરના દ્વાર પર હતો. મેં આતંકવાદીઓને જોયા અને પાછા ફર્યા.

જમ્મુ-કાશ્મીરના એક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં ગોળીબારની ઘટનાઓ બની રહી છે ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ સ્થળથી માત્ર પાંચસો મીટર દૂર આર્મી યુનિટનું લોકેશન આવેલું છે.