October 11, 2024

AMCના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ, 177 એકમોને નોટિસ અપાઈ

મિહીર સોલંકી, અમદાવાદ: AMC ફૂડ વિભાગ દ્વારા દર વર્ષે નવરાત્રી અને દિવાળીના સમયગાળા દરમિયાન બહારની મીઠાઈઓ અને રોડ રસ્તે મળતા ફૂડ સ્ટોલમાં ચેકીંગ કરવામાં આવતું હોય છે. ત્યારે, ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા ચેકીંગની પુરે પુરી પ્રક્રિયા જોવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા ખૂબ જ ચોકસાઈ અને પારદર્શિતાથી ફૂડ ચેકિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારે, આ વર્ષે અત્યાર સુધીમાં નવરાત્રી દરમિયાન 448 એકમોનું ચેકીંગ અને 3,63,000નો ખાદ્ય જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં, ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમીને ત્યાર બાદ બહાર ખાવા માટે જતા હોય છે. ત્યારે તેમને યોગ્ય ફૂડ મળી રહે તે માટે AMCના ફૂડ વિભાગ દ્વારા ખાધ ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં વિભાગ દ્વારા 448 જેટલા એકમોના ચેકીંગ કરીને 177 એકમોને નોટિસ પણ આપી છે.

વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા મોડી રાત સુધી ચાલતા ખાણીપીણી ની દુકાનો એ ખાધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિભાગ દ્વારા ગાંઠિયા રથ, પુષ્પકુંજ સર્કલ, કાંકરિયા, મણીનગર, વસ્ત્રાપુર, વડાજ, નવા વાડજ, દૂધેશ્વર, શાહીબાગ સહિત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. ગત 5 ઓક્ટોબર સુધીમાં 448 જેટલા ખાધા એકમોનું ચેકિંગ કરીને 177 એકમોને વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

 

આ સઘન ચેકિંગ દરમિયાન 34 મીઠાઈ, 10 દૂધ અને દૂધની બનાવટો, 1 નમકીન, 4 બેસન સોજી, 9 ખાદ્ય તેલ, 2 મસાલા અને 33 અન્ય એમ કુલ 93 શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે હાલ સુધીમાં 228 કિલોગ્રામ જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વની બાબત એ છે કે માત્ર 2 દિવસમાં 66 નોટિસ અને 26 હજાર ચાર્જ વસુલાયો છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબર આમ માત્ર બે દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અંદાજિત 104 ખાદ્ય એકમોની તપાસ કરીને 66 જેટલા ખાદ્ય એકમોને નોટિસ પાઠવવામાં આવી છે જેમાં 26 હજાર જેટલો મ્યુનિ. વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 3 લાખ 63 હજારનો ખાદ્ય જથ્થો સીઝ કરાયોઆ સાથે જ ફૂડ વિભાગ દ્વારા 2 લાખ 46 હજારની અંદાજિત કિંમતનો 1365 કિલોગ્રામ હલવો અને 3 લાખ 90 હજારની અંદાજિત કિંમતનો 1 હજાર 959 કિલોગ્રામ સ્વીટ ડિલાઇટ એનાલોગનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ત્યારે 2 એકમોને પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા. નવા વાડજમાં આવેલ નેક્ઝીલ બેવરેજીઝ પ્રા. લી. અને દૂધેશ્વર શાહીબાગમાં આવેલ ભોલેનાથ એન્ટરપ્રાઇઝમાંથી વોટર પ્લાસ્ટિક બોટલના જથ્થા મળતા તેને પ્રમાણિત જાહેર કરવામાં આવેલ છે.

આવનારા દિવસોમાં વધુ સઘન ચેકીંગ થશે, લાઇસન્સ વગરના ધંધા સીઝ કરાશે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ફુડ ડીપાર્ટમેન્ટ દ્વારા આવનારા દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે મીઠાઈ, નમકીન, દૂધ, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, તૈયાર ખોરાક, આનુષાંગિક રો મટીરીયલના ધંધા સાથે સંકળાયેલ એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાદ્ય પદાર્થના ધંધા કરતા એકમો જેવા કે મીઠાઈ, ફરસાણની દુકાનો, પાણીપુરી વાળી જગ્યા, શહેરની તમામ હોટલો તથા રેસ્ટોરન્ટની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા દિવસોમાં લાઇસન્સ અને રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું સઘન ચેકિંગ કરીને તેમના ધંધા સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.