May 4, 2024

‘અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે આપી ચેતવણી

Rajnath Singh Statement: રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત લશ્કરી રીતે મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. ભારત તેના પ્રદેશમાં અને તેની સરહદો પર કોઇપણ જોખમનો યોગ્ય જવાબ આપવા તૈયારી છે. રાજનાથ સિંહે કહ્યું, ‘ઈતિહાસ સાક્ષી છે, ભારતે પહેલા ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી, પરંતુ જો અમને અમારી સરહદો પર કોઈ ખતરાનો સામનો કરવો પડે તો અમારી સેના જવાબ આપવા માટે તૈયાર છે.

ફાઇલ ફોટો

આ પણ વાંચો: જવાનોએ 13 નક્સલવાદીઓને માર્યા હતા ત્યાં જ PM મોદી સભા ગજવશે

રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘દેશની સશસ્ત્ર દળોનું મનોબળ ઘણું ઊંચું છે. આપણા સૈનિકો હંમેશા જમીન, હવા કે દરિયાઈ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે. જો કોઈ ભારત પર હુમલો કરશે તો અમારી સેના જડબાતોડ જવાબ આપશે. ભારત હવે વિશ્વની એક મોટી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ છે. પીએમ મોદીના મજબૂત નેતૃત્વમાં ભારત વિશ્વની બાબતોમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. અન્ય દેશો હવે ભારતની વાત સાંભળે છે. ભવિષ્યમાં ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરશે એટલું જ નહીં એક મજબૂત સૈન્ય શક્તિ પણ બનશે. આપણી સશસ્ત્ર દળો દેશનું ગૌરવ છે. સૈનિકોનું મનોબળ વધારવા અને તેમના પ્રત્યે સન્માન વધારવા માટે સરકાર જે પણ જરૂરી હશે તે કરશે.’

આ પણ વાંચો: PM મોદીએ રાજસ્થાનના ચુરુમાં કહ્યું, હતાશા-નિરાશા મોદી પાસે નથી આવતી

પાકિસ્તાનને ચેતવણી આપી
એક મીડિયા ઈન્ટરવ્યુમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં મોકલશે તો તેને સહન નહીં કરવામાં આવે. આજનું ભારત આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપે છે. વધુમાં તેણે કહ્યું, ‘જો આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો અમે તેનો પીછો કરીશું અને પાકિસ્તાનની ધરતી પર તેને મારી નાખીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું છે. ભારત પાસે ક્ષમતા છે અને પાકિસ્તાન પણ તેને સમજવા લાગ્યું છે.