May 9, 2024

રામના નામે રોકડી કરવાનો ધંધો, QR કોડથી ચૂનો લગાવનાર કોણ?

દિલ્હી: “ભગવાનને પણ નથી મૂકતા” માણસને માણસાઈ ભૂલાઈ ગઈ છે. આજના સમયમાં તારા બનાવેલા તારા નામે કમાવા નીકળ્યા છે. માણસ પ્રગતિ કરતો જાય છે પણ માણસાઈ સામે સવાલ ઊભો થાય એવી ઘટના સામે આવી છે. પ્રભુ ભક્તિના નામે ડિજિટલ માધ્યમ થી પૈસા ખંખેરવાની પોલિસી ચાલતી હોય એવો ઘાટ છે. એ પણ રામ મંદિરના નામે

સાયબર ક્રિમિનલ નેટવર્કનો પર્દાફાશ
રામ મંદિરમાં દાનના બહાને કેટલાક સાયબર ફ્રોડ QR કોડથી સ્કેન-અને-પે પ્રક્રિયા દ્વારા નાણાંની છેતરપિંડી કરી રહ્યા છે. જેના કારણે મંદિરમાં દાન આપવા માટે લોકોને વિનંતી કરતા સોશિયલ મીડિયામાં મેસેજ અને ફોન કૉલ્સના અહેવાલ સામે આવ્યા હતા. આ પછી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. VHP પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, “ભગવાન રામના મંદિરના નિર્માણમાં ભંડોળ એકત્ર કરવા માટે કોઈ વ્યક્તિ અથવા જૂથને કહેવામાં આવ્યું નથી. જેની અમે સીધી રીતે ગૃહ મંત્રાલયને જાણ કરી છે. જે બાદ પોલીસ અધિકારીઓને સૂચના મોકલવામાં આવી છે.”

કડક પગલાં લેવાની માંગ
વિનોદ બંસલે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે, “રામ મંદિરના આ અવસર પર લોકો છેતરપિંડી કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માટે ભંડોળ એકત્ર કરવા માટે કોઈને કહેવામાં આવ્યું નથી. મેં ગૃહ મંત્રાલયની સાથે ઉત્તર પ્રદેશના ડીજીપી અને દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં આવા નરાધમો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. લોકોએ પણ આવી છેતરપિંડી કરતા નરાધમોથી બચીને રહેવું જોઈએ.”

કેવી રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી
VHPએ રેકોર્ડ કરેલા ફોન કોલની ઓડિયો ક્લિપ બહાર પાડી છે. જેમાં સંભળાઈ રહ્યું છે કે VHP કાર્યકર દાતા બને છે. દાતા તરીકે  બનતા 11,000 રૂપિયાનું દાન આપવાની વાત કરી હતી. તેની સાથે તેમણે એ પણ કહ્યું કે મારા ગામના બીજા લોકો પણ દાન આપવા માંગે છે. છેતરપિંડી કરનાર QR કોડ મોકલવા માટે WhatsApp નંબર માંગ્યો હતો. સ્કેમરે દાતાઓના નામ અને સંપર્ક વિગતો લઈને નોંધવાનો દાવો કર્યો હતો.

QR કોડ સ્કેન કૌભાંડ
આજના સમયમાં QR કોડથી લઈને તમામ ડિજિટલ રીતે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ રહ્યી છે. ધર્મને લઈને હોય કે પછી ડેટા ચોરી હોય તમામ બાબત ત્યાં અટકે છે, જ્યાં લોકોના પૈસા ખંખેરી શકાય. પરંતુ હા એ છે લોકોએ પણ આંધળું અનુકરણ ના કરવું જોઈએ. તમામ બાબતોની ચકાસણી બાદ જ પૈસાનું ટ્રાન્જેક્શન કરવું જોઈએ.

આ પણ વાંચો: મૈસૂરના મૂર્તિકારની કમાલની કલા, અવધ નરેશને આપ્યું મસ્ત બાળરૂપ