October 11, 2024

હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી, તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવને નોટિસ

અમદાવાદઃ વડોદરામાં થયેલી હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ સામે કાર્યવાહી શરૂ કરી હતી. રાજ્ય સરકારે IAS વિનોદ રાવને આ મામલે નોટિસ આપી ખુલાસો માગ્યો છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીના હુકમ સામે એડવોકેટ જનરલે કોર્ટમાં માહિતી આપી છે.

એડવોકેટ જનરલે કહ્યુ હતુ કે, એક અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જવાબદાર અધિકારીને નોટિસ પાઠવી ખુલાસો કરવા કહ્યું છે. પોતાનો પક્ષ મૂકવા જવાબદાર અધિકારીને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ સમગ્ર ઘટના મામલે તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ અને એચએસ પટેલની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પણ બંને અધિકારીઓની બેદરકારી અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતી. 18 ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.