May 22, 2024

ઉદ્ધવ ઠાકરેએ ગોધરા કાંડ મુદ્દે પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યાં હતા. ઉદ્ધવ ઠાકરે પ્રહારો કરતા કહ્યું કે તેમની પાર્ટીએ જેમને બચાવ્યા છે તેઓ હવે શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ઉદ્ધવે કહ્યું કે શિવસેનાને ખતમ કરવી આસાન નથી. ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી વિરુદ્ધ ટોણો મારીને કહ્યું કે “ઘણા લોકો માતોશ્રી (ઠાકરેના નિવાસસ્થાન) પર આવીને બાળાસાહેબને બચાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. પરંતુ બાળાસાહેબને ખબર ન હતી કે તેઓ ભવિષ્યમાં શું કરશે, પરંતુ બાળાસાહેબ અને શિવસેનાએ તેમને ત્યારે બચાવ્યા હતા, પરંતુ હવે તેઓ શિવસેનાને ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. ” પરંતુ તે એટલું સરળ નહીં હોય,” ઠાકરેએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જ્યાં ઘણા ભાજપ અને વીએચપી નેતાઓ શિવસેનામાં જોડાયા હતા.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમની ટિપ્પણી 2002ના ગોધરા રમખાણો પછી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી મોદીને બાળાસાહેબ દ્વારા આપવામાં આવેલા સમર્થન પર નિશાન બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે ઉદ્ધવે અગાઉ દાવો કર્યો હતો કે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબે નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો જ્યારે 2002માં ગોધરાકાંડ પછીના રમખાણો બાદ તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી થઈ હતી. વધુમાં ઉમેર્યું કે બાળાસાહેબે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને એમ કહીને ટકોર કરી હતી કે, “મોદી ગયા તો ગુજરાત ગયા (જો મોદી ગયા તો ગુજરાત પણ ભાજપના હાથમાંથી નીકળી જશે).

આ પણ વાંચો : આસામમાં અમિત શાહે કહ્યું; PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી 3 વર્ષમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે

મોદીનું નામ લીધા વગર ઠાકરેએ કહ્યું કે મોદી કોઈ બીજાની મહેનતનું ફળ મેળવી રહ્યા છે. “પ્રમોદ મહાજન જેવા લોકો જેમણે ભાજપ પાર્ટી માટે ખૂબ મહેનત કરી હતી તે આજે નથી, પરંતુ કેટલાક લોકો એવા છે જે તેમની મહેનતનો ફાયદો ઉઠાવી રહ્યા છે.” યુબીટી ચીફે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો હિંદુત્વ તાકાતોમાં તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વધુમાં કહ્યું, “1992-93 (રમખાણો)માં શિવસેનાએ મુંબઈને બચાવ્યું હતું. શિવસેનાએ ક્યારેય મરાઠી લોકો અને બહારના લોકો વચ્ચે ભેદભાવ કર્યો નથી. બાળાસાહેબે જ દરેક સંકટમાં પડેલી વ્યક્તિને મદદ કરવાનું અમને શીખવ્યું હતું.” ઠાકરેએ શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો સામે લડવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. “અમે લડતા રહીશું અને જેઓ અમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પોતે જ ખતમ થઈ જશે. અમે કોઈને વિરોધી માનતા નથી, પરંતુ તેઓ અમને વિરોધી માને છે,”