May 4, 2024

ખેડબ્રહ્મામાં ક્ષીરજામ્બા માતાજીનાં 54મા પાટોત્સવની ઉજવણી

sabarkantha kedbrahma kshirjambha mata 54th patotsav celebration

સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મામાં લક્ષ્મીપુરા રોડ પર આવેલા ક્ષીરજામ્બા માતાજીનો આજે 54મો પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સમૂહ યજ્ઞોપવિત પણ યોજાયો હતો. જેમાં બે બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ચૈત્ર સુદ પૂનમે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા રોડ પર આવેલા હરણાવ નદીના કિનારે આવેલા ક્ષીરજામ્બા માતાજીના મંદિરે મંગળવારે 54મો પાટોત્સવ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે બે બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીને ભવ્ય અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે 5 વાગે પૂજન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7:30 વાગ્યે હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સવારે 11:30 કલાકે હવન પૂર્ણ થયો હતો. ત્યારબાદ 12:30 કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે યજ્ઞોપવિતને લઈને સવારે 6:30 કલાકે ગણેશ પૂજન, 8 કલાકે ગ્રહશાંતિ અને 11:30 કલાકે બટુકયાત્રા યોજાઈ હતી. આ પાટોત્સવ નિમિત્તે યોજાયેલા હવનમાં કાયમી મુખ્ય યજમાન રાજેન્દ્ર હરિવદન જોશી અને સહ યજમાન સ્વપ્નિલભાઈ ભરતભાઈ જોશી હતા. જ્યારે બટુક સુલેક રસેશભાઈ જોશી અને પ્રથમ પિનાકીનભાઈ ગોરનો યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો હતો.