September 17, 2024

ભાયલી રોડ પર સિદ્ધિવિનાયક પ્લાઝા ઇમારતમાં સ્લેબ ધરાશાયી થતા રહીશોમાં ભય

વડોદરા: ભાયલી રોડ પર સ્થિત સિદ્ધિવિનાયક પ્લાઝા ઇમારતમાં અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમા સ્લેબ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઇએ કે, ભાયલી રોડ પર સ્થિત સિદ્ધિવિનાયક પ્લાઝા ઇમારતના પાર્કિગનો સ્લેબ ધરાશાયી થતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફલેટના બાજુમાં કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલી રહેલા કામને લીધે સમગ્ર ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર ભાયલી રોડ પર સ્થિત સિદ્ધિવિનાયક ફ્લેટની બાજુમાં એક નિર્માણાધિન પૂજન બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બન્યા બાદ ફ્લેટમાં રહેતા રહીશો બહાર આવી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. આ ફ્લેટમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે સ્લેબ્ ધરાશાયી થતાં ફલેટના 250 થી વધુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફલેટના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ જ્યારે કામ ચાલુ હતું, ત્યારે સિદ્ધિવિનાયક ફ્લેટની વોલ ધરાશાયી થઈ હતી. વધુમાં રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે બિલ્ડર દ્વારા કોઈપણ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. સમગ્ર મામલે ફલેટના રહીશોએ પોલીસ અને VMCને જાણ કરી હતી.

બીજી તરફ સમગ્ર મામલે પૂજન સાઈટ બિલ્ડર દ્વારા બચાવ કરતા કહ્યું કે, અમે નિર્માણ દરમિયાન દરેક નિયમોના પાલન કરી રહ્યા છીએ. સિદ્ધિવિનાયકના રહીશોને અમે તમામ બાહેંધરી આપી છે. બિલ્ડીંગનું નિર્માણ થાય બાદ જે નુકસાન થયું છે, તેનું તમામ કામ અમે કરી આપીશું. વધુમાં તેમણે કહ્યું કે, સિદ્ધિવિનાયક બિલ્ડિંગમાં ડ્રેનેજના પાણીના ભેજને કારણે આ ઘટના સર્જાઈ છે.