September 23, 2024

વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે સંસ્થાઓમાં સુધારા જરૂરી છે, UNમાં PM મોદીનું આહ્વાન

Narendra Modi in UN: PM નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં પીએમ મોદીએ કહ્યું, ‘માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા મહત્વપૂર્ણ છે. સુધારણા એ સુસંગતતાની ચાવી છે. એક તરફ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ જેવો મોટો ખતરો છે તો બીજી તરફ સાયબર, મેરીટાઇમ, સ્પેસ જેવા સંઘર્ષના નવા ક્ષેત્રો સર્જાઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યવાહી વૈશ્વિક મહત્વાકાંક્ષા સાથે મેળ ખાતી હોવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર જૂન મહિનામાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતની જનતાએ મને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે અને હું અહીં છઠ્ઠા ભાગની માનવતાનો અવાજ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું.

પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્યની વાત કરીએ છીએ, ત્યારે માનવ-કેન્દ્રિત અભિગમ પ્રથમ આવવો જોઈએ. સતત વિકાસને પ્રાથમિકતા આપતી વખતે આપણે માનવ કલ્યાણ, ભોજન, આરોગ્ય સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. અમે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને દેખાડી દીધુ છે, સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે ટેકનોલોજીના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ માટે સંતુલિત નિયમનની જરૂર છે. આપણને વૈશ્વિક ડિજિટલ ગવર્નન્સની જરૂર છે જેમાં રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને અખંડિતતા અકબંધ રહે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સેતુ હોવું જોઈએ, અવરોધ નહીં.

‘વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર’
PM મોદીએ કહ્યું કે, ‘વન અર્થ’, ‘વન ફેમિલી’ અને ‘વન ફ્યુચર’ એ ભારત માટે પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા ‘વન અર્થ’, ‘વન હેલ્થ’ અને ‘વન સન’, ‘વન વર્લ્ડ’, ‘વન ગ્રીડ’ જેવી અમારી પહેલોમાં પણ દેખાય છે. તેમણે કહ્યું કે ભારત સમગ્ર માનવતાના હિતોની રક્ષા અને વૈશ્વિક સમૃદ્ધિ માટે ‘માનસા, વાચા, કર્મણા’ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. નોંધનીય છે કે, પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસના ભાગરૂપે ન્યૂયોર્કમાં છે. તેમણે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. મોદીએ રવિવારે બપોરે લોંગ આઇલેન્ડમાં ‘મોદી અને યુએસ’ કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયના હજારો લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે રાઉન્ડ ટેબલ પર યુએસ ટેક્નોલોજી લીડર્સ અને સીઈઓ સાથે પણ વાતચીત કરી હતી. બાદમાં તેમણે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.