October 26, 2024

PM મોદી સ્પેનના પ્રધાનમંત્રી સાથે આવશે ગુજરાત, TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું કરશે ઉદ્ઘાટન

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓકટોબરના રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી સ્પેનિશ પ્રધાનમંત્રી સાથે વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. આ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે ભારતમાં જ લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે. તો સાથે સાથે PM મોદી વિવિધ વિકાસ કાર્યોનો નો શિલાન્યાસ પણ કરશે. અમરેલીમાં રૂ. 4,900 કરોડથી વધુની કિંમતના વિકાર કાર્યોનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. સવારે લગભગ 10 વાગ્યે, વડાપ્રધાન મોદી, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે, TATA એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે તેઓ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે. વડોદરાથી વડાપ્રધાન અમરેલી જશે જ્યાં બપોરે 2.45 કલાકે તેઓ અમરેલીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. આગળ બપોરે લગભગ 3 વાગ્યે, તેઓ લાઠી, અમરેલી ખાતે રૂ. 4,800 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડોદરામાં PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે TATA એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ્સ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહી છે અને બાકીના 40 ભારતમાં બનવાના છે. Tata Advanced Systems Ltd ભારતમાં આ 40 એરક્રાફ્ટ બનાવવા માટે જવાબદાર છે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) હશે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને લાયકાત, ડિલિવરી અને એરક્રાફ્ટના સંપૂર્ણ જીવનચક્રની જાળવણી સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમનો સંપૂર્ણ વિકાસ સામેલ હશે.

ટાટા ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવા અગ્રણી સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો તેમજ ખાનગી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં યોગદાન આપશે. અગાઉ ઓક્ટોબર 2022 માં, વડાપ્રધાને વડોદરા ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) માટે શિલાન્યાસ કર્યો હતો.

અમરેલીમાં PM મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. ધોળકિયા ફાઉન્ડેશને ચેકડેમમાં સુધારો કર્યો હતો, જે મૂળરૂપે, ડેમ 4.5 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકે છે, પરંતુ તેને ઊંડો, પહોળો અને મજબૂત કર્યા પછી, ક્ષમતા વધીને 24.5 કરોડ લિટર થઈ ગઈ છે. આ સુધારાથી નજીકના કુવાઓ અને બોરમાં પાણીનું સ્તર વધ્યું છે જે સ્થાનિક ગામો અને ખેડૂતોને સારી સિંચાઈ પૂરી પાડીને મદદ કરશે.

એક જાહેર સમારંભમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમરેલી ખાતે આશરે રૂ. 4,900 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે. વડાપ્રધાન મોદી રૂ. 2,800 કરોડથી વધુની કિંમતના વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન કરવાના પ્રોજેક્ટ્સમાં NH 151, NH 151A અને NH 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિભાગોને ચાર-માર્ગી બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના વિભાગના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી લગભગ રૂ. 1,100 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ વ્યાપક પ્રોજેક્ટમાં 24 મોટા પુલ, 254 નાના પુલ, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અન્ડરબ્રિજ છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

વડાપ્રધાન અમરેલી જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગની રૂ. 700 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈનનો સમાવેશ થાય છે જે બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 36 શહેરો અને 1,298 ગામોના અંદાજે 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડશે. ભાવનગર જીલ્લામાં પાસવી ગ્રુપ ઓગમેન્ટેશન વોટર સપ્લાય સ્કીમ ફેઝ 2 નો શિલાન્યાસ પણ કરવામાં આવશે જેનો લાભ ભાવનગર જીલ્લાના મહુવા, તળાજા અને પાલિતાણા તાલુકાના 95 ગામોને થશે. પ્રધાનમંત્રી પ્રવાસન સંબંધિત વિકાસ પહેલો માટે શિલાન્યાસ પણ કરશે જેમાં પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કાર્લી રિચાર્જ જળાશયને વિશ્વ કક્ષાના ટકાઉ પર્યાવરણીય પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.