May 3, 2024

‘INDIA ગઠબંધન’ને ફટકો, વધુ એક પાર્ટીએ છોડ્યું સમર્થન

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી એક મોટા સમાચાર છે. સપાના પ્રમુખ અખિલેશે જાહેરાત કરી કે, INDIA ગઠબંધનમાં અપના દળ કામેરાવાદી સાથેનું ગઠબંધન તુટી ગયું છે, જે સમાજવાદી પાર્ટીની સાથે ઇન્ડિયા એલાયન્સમાં સાથે હતું. અપના દળ કામેરાવાદી અને સપાના ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું- 22માં ગઠબંધન હતું, 24માં નહીં. બાકી તમે લોકો હોશિયાર છો.

અપના દળ (K)એ 3 લોકસભા બેઠકો પર દાવો કર્યો હતો. અપના દળ કામેરાવાદીએ ગઠબંધનમાં મિર્ઝાપુર, કૌશામ્બી, ફુલપુર સીટો માંગી હતી. જ્યારે અપના દળ કામેરાવાદીએ આ ત્રણેય બેઠકો પર દાવો કર્યો હતો એ જ દિવસે મોડી સાંજે સપાએ મિર્ઝાપુરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે બુધવારે અપના દળ (કામેરાવાદી), જે INDIA ગઠબંધનનો ભાગ છે, એ બળવાખોર વલણ અપનાવ્યું અને યુપીની ત્રણ લોકસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્રિષ્ના પટેલે ખુદ આ જાહેરાત કરી હતી.

પલ્લવી પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા
પાર્ટીએ બુધવારે ફુલપુર, મિર્ઝાપુર અને કૌશામ્બી લોકસભા સીટ પરથી ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. અપના દળ (કામેરાવાદી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષ્ણા પટેલે કહ્યું હતું કે અમે લાંબા સમયથી ઈન્ડિયા એલાયન્સના ભાગીદાર છીએ. અમે INDIA ગઠબંધનની દરેક બેઠકમાં સામેલ થયા છીએ. પાર્ટીએ ત્રણ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

અપના દળ (કામેરાવાદી)ના નેતા પલ્લવી પટેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. પલ્લવી સમાજવાદી પાર્ટીના સિરથુ કૌશામ્બી સીટથી ધારાસભ્ય છે. તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં સપા સામે બળવો કર્યો હતો. તેમણે પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે પીડીએ (પછાત વર્ગ, દલિત અને લઘુમતી)ની અવગણના કરવામાં આવી છે. ત્યારથી તેમનો સ્વર બળવાખોર રહ્યો હતો અને હવે તેમણે કહ્યું છે કે તેઓ સપાથી અલગ થઈને લોકસભાની ચૂંટણી લડશે.