May 4, 2024

નીતિશ કુમાર વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યો પર થયા ગુસ્સે

પટના: બિહારમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે ગૃહમાં હંગામો અને સૂત્રોચ્ચાર કરવા બદલ મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષના ધારાસભ્યો પર ગુસ્સે થયા હતા. નીતિશે કહ્યું, તમે મારા માટે મુર્દાબાદના નારા લગાવો અને અમે તમારા માટે ઝિંદાબાદ કહીએ છીએ. બહાર પણ આવું જ કહેવાય છે. તમે જેટલી વખત મુર્દાબાદના નારા લગાવશો તો પણ અમે તમને બધાને ઝિંદાબાદ કહીશું. માહિતી અનુસાર સીએમ નીતિશ કુમાર વિધાનસભામાં પ્રવેશતા જ આરજેડી ધારાસભ્ય મુકેશ રોશન અને અન્ય સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. રોશને નીતિશ કુમાર માટે મુર્દાબાદના નારા લગાવ્યા હતા, જેના પર નીતીશ કુમાર અટકી ગયા અને પછી કહ્યું, જે લોકો મુર્દાબાદ કહી રહ્યા છે, તેમને અમારા ઝિંદાબાદ, નીતિશ કુમારે વધુમાં કહ્યું કે જીવતા રહો અને અમને મુર્દા કહેતા રહો, તેમે જેટલા મુર્દાના નારા લગાવશો તેટલા ખતમ થઇ જશો. તમે લોકો આગલી વખતે બહુ ઓછી સંખ્યામાં આવશો. એક પણ સીટ મળશે નહીં. જાણીલો અને ખૂબ નારેબાજી કરો. નીતિશે કહ્યું, અમે એટલા માટે ઝિંદાબાદ કહી રહ્યા છીએ ઘરમાં રહો. અહીં આવવાની જરૂર નથી. તમામ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

‘તમે લોકો ગડબડ કરી રહ્યા હતા’
નીતીશ શાળાના સમયમાં ફેરફારનો ઉલ્લેખ કર્યો હતો. નીતિશ કુમારે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે કે પાઠકનો પણ ખુલ્લેઆમ બચાવ કર્યો હતો. ત્યારબાદ નીતિશે કહ્યું, તમે (વિપક્ષ) ખોટું કામ કરી રહ્યા હતા. હવે અમે સુધારા કર્યા છે. એક-એક કામ કરી રહ્યાં છીએ. અમે ગઈકાલે જ કહ્યું હતું અને તેનો અમલ કરવામાં આવ્યો હતો. નીતિશે પૂછ્યું કે શું તમને કોઈ અધિકારીને હટાવવાનો અધિકાર છે? સરકારી અધિકારીને કોઈપણ બાબતમાંથી હટાવવાની માંગ કરવી ખોટી છે. તમે લોકો ઈમાનદાર વ્યક્તિ સામે કાર્યવાહીની વાત કરો છો. જેઓ સૌથી વધુ પ્રમાણિક છે જે અધિકારીઓ કોઈના ધંધા કે ગોસિપને સાંભળતા નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ બહુ ખોટું છે. તમારે જેટલો હંગામો કરવો હોય તેટલો કરો અને મજા કરો.

હવે 6 કલાક માટે ખુલશે સ્કૂલ
નોંધનયી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક દિવસ પહેલા જ વિધાનસભામાં આશ્વાસન આપ્યું હતું કે શાળાનો સમય ઘટાડવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકારી સંસ્થાઓમાં સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીનો વર્તમાન આઠ કલાકનો સમયગાળો છે તેમાં બે કલાક ઘટાડવામાં આવશે. હવે નવો સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. આ આદેશ પણ થોડા કલાકો પછી અમલમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ નિયામક કન્હૈયા પ્રસાદ શ્રીવાસ્તવે મંગળવારે મોડી સાંજે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે નવો સમય તાત્કાલિક અસરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે જ્યારે JDU મહાગઠબંધનમાં હતું ત્યારે RJDના તત્કાલીન શિક્ષણ મંત્રી ચંદ્ર શેખરે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી શાળાનો સમય જાહેર કર્યો હતો. શિક્ષણ વિભાગે ગયા વર્ષે નવેમ્બરમાં શાળાઓ માટે નવો સમય જાહેર કર્યો હતો અને તે 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યો હતો. નવા સમયપત્રકનું પાલન ન કરનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.