May 21, 2024

ખેરગામમાં રખડતા શ્વાનનો આતંક, 12 લોકોને બચકાં ભર્યા

navsari khergam stray dogs bites 12 people

ફાઇલ તસવીર

જીગર નાઈક, નવસારીઃ જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેરગામ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ખેરગામના બજાર વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં રખડતા શ્વાને નાના બાળકથી લઈ વૃદ્ધોને બચકાં ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેરગામ સહિત આસપાસના ગામના 12 લોકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. જ્યારે ગ્રામ પંચાયતે શ્વાનને પકડવાના પ્રયાસો આરંભ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, નવસારીના ખેરગામ તાલુકાના મુખ્ય મથક ખેરગામ ગામે છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. ખેરગામના બજાર વિસ્તારમાં બે દિવસોમાં રખડતા શ્વાનને 7થી 8 લોકોને બચકાં ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો છે. ખેરગામના પ્રવેશ દ્વાર પાસે પોસ્ટ ઓફિસની સામે ચાની લારી ચલાવતા 70 વર્ષીય ગોવિંદભાઈ બજારમાં દવા લેવા ગયા અને પાછળથી આવેલા રખડતા શ્વાને તેમના પગના પાછળથી કરડ્યું હતું, જેને છોડાવતા ગોવિંદભાઈને ઘણી મુશ્કેલી પડી હતી.

તો બજારમાં મસ્જિદ પાસે ચાની લારી ચલાવતા 73 વર્ષીય હરીશભાઈને પણ શ્વાન કરડીને ભાગી ગયો હતો. બંનેને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ખસેડવામાં આવ્યા હતા. ખેરગામમાં બીજા 54 વર્ષીય અલ્લારખાંભાઈ, 33 વર્ષીય હીનાબેન, 15 વર્ષીય સોનલ અને 5 વર્ષીય કુંજને પણ શ્વાન કરડતા તેમણે પણ ઇન્જેક્શન લેવા પડ્યાં છે. જ્યારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકાં ભરતા ખેરગામ રેફરલ હોસ્પિટલમાં બે દિવસોમાં 12 લોકોને સારવાર લેવી પડી છે.

બીજી તરફ ખેરગામ ગ્રામ પંચાયતને ઘટનાની જાણ થતા રખડતા શ્વાનને પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરી છે. જો કે, હજી સુધી લોકોને બચકાં ભરતા શ્વાનને કોઈ પકડી શક્યું નથી. તેના કારણે સ્થાનિકોમાં હજુ પણ રખડતા શ્વાનને લઇને ભયનો માહોલ છે.