May 10, 2024

ફોન ફાટવાથી ચાર બાળકોનાં મોત, માતા-પિતાની હાલત નાજુક

meerut mobile exploded due to short circuit four death

બાળકોના માતા-પિતાની હાલત નાજુક છે.

મેરઠઃ જિલ્લાના મોદીપુરમ વિસ્તારમાં આવેલી જનતા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા એક મજૂરના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે મોબાઈલ ફોન ફાટ્યો હતો અને રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારે રૂમમાં હાજર ચાર બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા. બાળકોને બચાવવા આવેલા દંપતી પણ દાઝી ગયા હતા. લોકોએ પોલીસને જાણ કરતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તમામને પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં મેડિકલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના મોત થયા હતા. હાલમાં દંપતીની હાલત નાજુક છે.

ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં જ ચારેય બાળકો આ દુનિયા છોડીને જતા રહ્યા છે. ત્યારે બાળકોની માતાને ગંભીર હાલતમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે પિતાની હાલત નાજુક છે. તે મેડિકલમાં દાખલ છે. મુઝફ્ફરનગર જિલ્લાના સિખેડાનો રહેવાસી જોની (41) મજૂરી કામ કરે છે. તે તેની પત્ની બબીતા ​​(37) અને ચાર બાળકો સારિકા (10), નિહારિકા (8), ગોલુ (6) અને કલ્લુ (5) સાથે મોદીપુરમના જનતા કોલોનીમાં એક મકાનમાં ભાડેથી રહે છે.

મળતી માહિતી પ્રમાણે, શનિવારે સાંજે રૂમમાં બાળકો રમી રહ્યા હતા. રૂમમાં પલંગ પર વાયરો વિખરાયેલા હતા અને બાળકો મોબાઈલ ચાર્જર ઈલેક્ટ્રીકલ બોર્ડમાં લગાવી રહ્યા હતા. ચાર્જર ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ થયું હતું. આગ પકડતા વાયરને કારણે મોબાઈલ ફોન ફાટ્યો અને પલંગમાં આગ લાગી ગઈ.

ત્યારે આગથી ઘેરાયેલા બાળકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. વિસ્ફોટ અને બાળકોનો અવાજ સાંભળીને જોની અને બબીતા ​​રસોડામાંથી રૂમ તરફ દોડ્યા હતા. બંનેએ બળેલી હાલતમાં બાળકોને આગમાંથી બહાર કાઢ્યા હતા. બાળકોને બચાવતી વખતે બબીતા ​​અને જોની પણ ખરાબ રીતે દાઝી ગયા હતા. જોનીના ઘરેથી ચીસો સાંભળતા પાડોશીઓ પણ દોડીને ત્યાં પહોંચ્યા હતા.

આ મામલે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મનેશ કુમારનું કહેવું છે કે, સારિકા અને કલ્લુનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનો પહેલા પોસ્ટમોર્ટમ માટે ના પાડી રહ્યા હતા, પરંતુ હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પિતા જોનીની સારવાર ચાલી રહી છે, જ્યારે માતા બબીતાને ગંભીર હાલતમાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત પણ નાજુક છે.

એસપી સિટી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બાળકો અને દંપતી ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ચારેય બાળકોના મોત થયા છે.